સમાન નાગરિક સંહિતા ફક્ત મુસ્લિમોનો નહીં તમામ વર્ગોનો મુદ્દો : જમિયત-ઉલેમા-એ-હિન્દ

સમાન નાગરિક સંહિતા ફક્ત મુસ્લિમોનો નહીં તમામ વર્ગોનો મુદ્દો : જમિયત-ઉલેમા-એ-હિન્દ

image : Facebook

નવી દિલ્હી, તા 11, ફેબ્રુઆરી, 2023, શનિવાર

જમિયત ઉલેમા-એ-હિન્દનું ૩૪મું અધિવેશન ચાલી રહ્યું છે. તેમાં જમિયતના વડા મૌલાના મહેમૂદ મદનીએ કહ્યું કે સમાન નાગરિક સંહિતા ફક્ત મુસ્લિમોનો મુદ્દો નથી પણ તે દેશના વિવિધ સમુદાયો, સમૂહો, જાતિઓ અને તમામ વર્ગોનો મુદ્દો છે. મદનીએ કહ્યું કે આપણો દેશ વિવિધતામાં એકતા અને સાચો બહુલતાવાદીનું સૌથી શ્રેષ્ઠ ઉદાહરણ છે પણ તેની અવગણના કરીને જે પણ કાયદા પસાર કરાશે તેની દેશની એકતા, વિવિધતા અને અખંડતા પર સીધી અસર થશે. અમે સરકારનું ધ્યાન એ વાત તરફ આકર્ષિત કરવા માગીએ છીએ કે અખંડતા કેવી રીતે સુનિશ્ચિત કરવામાં આવે અને દેશની સકારાત્મક છબિ કેવી રીતે બની શકે. 

જમિયતે કહ્યું – UCC લાવવા પાછળ રાજકારણ

જમિયતે કહ્યું કે સમાન નાગરિક સંહિતા(UCC) લાવવા પાછળ સરકારનો ઈરાદો રાજકારણથી પ્રેરિત છે. જમિયત ઉલેમા એ હિન્દે સમાન નાગરિક સંહિતાને લાગુ કરવા વિરુદ્ધ ચેતવણી પણ ઉચ્ચારી હતી. સાથે જ કહ્યું કે સરકાર UCC અંગે કોર્ટને ગેરમાર્ગે દોરી રહી છે. વર્તમાન સરકાર UCC લાગુ કરીને મુસ્લિમ પર્સનલ લૉને સમાપ્ત કરવા માગે છે જે વોટબેન્કની રાજનીતિથી પ્રેરિત છે. 

કુરાનની આયતોની મનમુજબ વ્યાખ્યાઓ કરાઈ 

જમિયતે કહ્યું કે હાલમાં કોર્ટે ત્રણ તલાક, હિજાબ વગેરે મામલે શરિયતના નિયમો અને કુરાનની આયતોની મનમુજબની વ્યાખ્યા કરી મુસ્લિમ પર્સનલ લૉને ખતમ કરવાનો માર્ગ મોકળો કરાયો છે.  અધિવેશનમાં જમિયત વતી કહેવાયું કે સરકારે દેશના તમામ વર્ગોના અભિપ્રાયને માન આપવું જોઇએ અને કોઈ એક વર્ગને ખુશ કરવાની જગ્યાએ બંધારણીય અધિકારોથી છેડછાડ કરતાં બચવું જોઇએ.  

વિવિધ પ્રસ્તાવો પસાર કરાયા 

જમિયત ઉલેમા-એ-હિન્દના અધિવેશનમાં સામેલ થનારા મૌલવીઓએ ઈસ્લામોફોબિયા, સમાન નાગરિક સંહિતા, પર્સનલ લૉમાં હસ્તક્ષેપ વિરુદ્ધ, પછાત વર્ગના મુસ્લિમો માટે અનામત, મદરેસાઓનું સર્વેક્ષણ, ઈસ્લામ વિરુદ્ધ ખોટી માહિતી ફેલાવવી અને કાશ્મીર મુદ્દે પ્રસ્તાવ પાસ કરાયો હતો. મૌલાના મદનીએ ઈસ્લામોફોબિયા અંગે કહ્યું કે ભાજપ અને આરએસએસ સાથે કોઈ ધાર્મિક શત્રુતા નથી. ભારત જેટલો પીએમ મોદીનો અને મોહન ભાગવતનો છે, એટલો જ મહેમૂદ મદનીનો પણ છે. આ ધરતી સૌથી પહેલા પયગમ્બર અબ્દુલ બશર સઈદાલા આલમની સાહેબની છે. એટલા માટે ઈસ્લામ ધર્મને એમ કહેવું કે તે બહારથી આવ્યું છે તે ખોટું અને પાયાવિહોણું છે. ઈસ્લામ સૌથી જૂનો ધર્મ છે.

 

Share: