સમગ્ર NCRમાં લોકડાઉન લાગે તો અમે પણ તૈયાર- વાયુ પ્રદૂષણ મુદ્દે દિલ્હી સરકારનું સોગંદનામું

સમગ્ર NCRમાં લોકડાઉન લાગે તો અમે પણ તૈયાર- વાયુ પ્રદૂષણ મુદ્દે દિલ્હી સરકારનું સોગંદનામું


– સુપ્રીમ કોર્ટે વાયુ પ્રદૂષણ માટે પરિવહન, ઉદ્યોગો અને ટ્રાફિક વ્યવસ્થાને મુખ્ય કારણ ગણાવી દીધા

નવી દિલ્હી, તા. 15 નવેમ્બર, 2021, સોમવાર

સુપ્રીમ કોર્ટ તરફથી દિલ્હીમાં લોકડાઉન લાગુ કરવાની સલાહ મુદ્દે કેજરીવાલ સરકારે સોમવારે એફિડેવિટ દાખલ કરી હતી. તેમાં દિલ્હી સરકારે કહ્યું હતું કે, જો પ્રદૂષણ રોકવા માટે સમગ્ર એનસીઆરમાં લોકડાઉન લાગુ કરવામાં આવે તો દિલ્હી પણ તે માટે તૈયાર છે. દિલ્હી સરકારે કોર્ટને કહ્યું કે, તે લોકડાઉન લગાવવા માટે તૈયાર છે કારણ કે, હવાઓની સરહદ નથી હોતી. માટે કેન્દ્ર સરકારે સમગ્ર એનસીઆર અને આસપાસના રાજ્યોમાં લોકડાઉન લાગુ કરવા માટે વિચારવું જોઈએ. 

સુનાવણી દરમિયાન દિલ્હી સરકારે પોતાની એફિડેવિટમાં કહ્યું કે, ‘અમે સ્થાનિક ઉત્સર્જનને નિયંત્રિત કરવા માટે સંપૂર્ણ લોકડાઉન જેવા પગલાં ભરવા માટે તૈયાર છીએ.’ પરંતુ આવા પગલાં ત્યારે જ કારગર સાબિત થશે જ્યારે સમગ્ર એનસીઆર અને પાડોશી રાજ્યોમાં પણ નિયંત્રણ લાગુ કરવામાં આવે. 

હકીકતે, કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને કહ્યું હતું કે, દિલ્હી અને પૂર્વીય રાજ્યોમાં પ્રદૂષણ પાછળ પરાળી સળગાવવામાં આવે છે તે મહત્વનું કારણ નથી કારણ કે, પ્રદૂષણમાં તેનું માત્ર 10 ટકા યોગદાન છે. આ મુદ્દે સુપ્રીમ કોર્ટે વાયુ પ્રદૂષણ માટે પરિવહન, ઉદ્યોગો અને ટ્રાફિક વ્યવસ્થાને મુખ્ય કારણ ગણાવી દીધા. 

Share: