સંસદથી લઈને રસ્તા સુધી રાહુલ ગાંધીના નેતૃત્વમાં વિપક્ષોએ અરાજકતા ફેલાવીઃ ભાજપ

સંસદથી લઈને રસ્તા સુધી રાહુલ ગાંધીના નેતૃત્વમાં વિપક્ષોએ અરાજકતા ફેલાવીઃ ભાજપ

નવી દિલ્હી,તા.12 ઓગસ્ટ 2021,ગુરૂવાર

સંસદનુ મોનસૂન સત્ર નિયત સમય કરતા બે દિવસ પહેલા જ સમાપ્ત થઈ ગયુ છે. તેના આખરી દિવસે એટલે કે બુધવારે રાજ્યસભામાં જે થયુ તેને લઈને સરકાર અને વિપક્ષ એક બીજા પર આરોપ તેમજ પ્રત્યારોપ લગાવી રહ્યા છે.

ભાજપે આ માટે રાહુલ ગાંધીને જવાબદાર ઠેરવ્યા છે. ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ વિપક્ષ પર ગંભીર આરોપ લગાવતા કહ્યુ હતુ કે, જે પ્રકારનો વ્યવહાર કોંગ્રેસ પાર્ટી અને બીજી પાર્ટીઓ રસ્તા પર ઉતરીને કરી રહ્યા છે અને જે પ્રકારે તેમણે સંસદમાં રાહુલ ગાંધીના નેતૃત્વ હેઠળ અરાજકતા ફેલાવી છે તેનાથી દેશ અને લોકશાહી શરમમાં મુકાઈ છે.

સંસદના ઈતિહાસમાં પહેલી વખત લોબીમાં કાચનો ગેટ તોડી નાંખવામાં આવ્યો છે. જેનાથી એક સુરક્ષા કર્મીને ઈજા પણ થઈ છે. તે હોસ્પિટલમાં છે. આ એ જ વિપક્ષ છે જે કહેતો હતો કે સંસદનુ વિશેષ સત્ર બોલાવવામાં આવે અને જ્યારે વિશેષ સત્ર બોલાવાયુ ત્યારે કોરોના પર એક પણ દિવસ ચર્ચા કરવામાં આવી નહોતી.

સંસદમાં મર્યાદાનુ ઉલ્લંઘન કરવામાં આવ્યુ હતુ. તેની ગરિમાને ઠેસ પહોંચાડવામાં આવી હતી અને તેના કારણે વૈકેયા નાયડુ રડી પડ્યા હતા.

કેન્દ્રના મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ કહ્યુ હતુ કે, કોંગ્રેસ પાર્ટી અને બીજા વિપક્ષો શરૂઆતથી જ કહી રહ્યા હતા કે, સંસદનુ ચોમાસુ સત્ર ધોઈ નાંખવાનુ વોશિંગ મશિન લઈને અમે આવ્યા છે. વિપક્ષો સંસદને જ નહીં દેશને પણ બદનામ કરી રહ્યા છે.

Share: