સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહને થયો કોરોના, ઘરમાં જ થયા ક્વોરેન્ટાઈન

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહને થયો કોરોના, ઘરમાં જ થયા ક્વોરેન્ટાઈન

નવી દિલ્હી, તા. 10 જાન્યુઆરી, 2022, સોમવાર

દેશમાં વધી રહેલા કોરોના વાયરસના કેસની વચ્ચે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. ભાજપના 70 વર્ષીય નેતાએ ટ્વિટરના માધ્યમથી આ અંગેની જાણકારી આપી છે. રાજનાથ સિંહે સોમવારે ટ્વિટમાં લખ્યું હતું કે, ‘હું આજે હળવા લક્ષણો સાથે કોરોના પોઝિટિવ આવ્યો. હું હોમ ક્વોરેન્ટાઈન થયો છું. તાજેતરમાં મારા સંપર્કમાં આવ્યા હોય તેવા તમામ લોકોને હું વિનંતી કરૂં છું કે, તેઓ આઈસોલેટ થઈ જાય અને પોતાનો ટેસ્ટ કરાવી લે.’  

ઉલ્લેખનીય છે કે, રાજધાની દિલ્હીમાં કોરોના સંક્રમણ ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યું છે. રવિવારે 24 કલાકની અંદર સંક્રમણના 22,751 નવા કેસ સામે આવ્યા હતા. પ્રદેશમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 60,733 થઈ ગઈ છે. આશરે 7.5 મહિનામાં આ સૌથી વધારે એક્ટિવ કેસ છે. દિલ્હીમાં પોઝિટિવિટી રેટ વધીને 23.53%એ પહોંચી ગયો છે. 

ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 1,79,723 કેસ સામે આવ્યા છે. સૌથી વધારે મહારાષ્ટ્રમાં 44,388 કેસ સામે આવ્યા છે. આ દરમિયાન કોરોનાના કારણે 146 લોકોના મોત થયા છે. તે સિવાય પશ્ચિમ બંગાળમાંથી 24,287 કેસ, દિલ્હીમાંથી 22,751 કેસ, તમિલનાડુમાંથી 12,895 કેસ, કર્ણાટકમાંથી 12 હજાર કેસ સામે આવ્યા છે. 

Share: