શ્રદ્ધાંજલિઃ આજે પંડિત નેહરૂની જયંતિ, PM મોદીએ કર્યું નમન, સોનિયા ગાંધીએ કર્યા યાદ

શ્રદ્ધાંજલિઃ આજે પંડિત નેહરૂની જયંતિ, PM મોદીએ કર્યું નમન, સોનિયા ગાંધીએ કર્યા યાદ


– 1964ના વર્ષમાં પંડિત નેહરૂના અવસાન બાદ તેમની જયંતિના દિવસને બાલ દિવસ તરીકે ઉજવવાની શરૂઆત થઈ

નવી દિલ્હી, તા. 14 નવેમ્બર, 2021, રવિવાર

ભારતની સ્વતંત્રતા બાદ દેશની બાગડોર સંભાળનારા દેશના પહેલા વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરૂની આજે જયંતિ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટરના માધ્યમથી દેશના પ્રથમ વડાપ્રધાનને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. વડાપ્રધાન મોદીએ ટ્વિટમાં લખ્યું હતું કે, ‘દેશના પ્રથમ વડાપ્રધાન પં. જવાહરલાલ નેહરૂજીને તેમની જયંતિ પર મારી વિનમ્ર શ્રદ્ધાંજલિ.’

પંડિત જવાહરલાલ નેહરૂની જયંતિ પર કોંગ્રેસી નેતા સોનિયા ગાંધીએ દિલ્હી સ્થિત શાંતિ વન પહોંચીને તેમની સમાધિ પર પુષ્પ અર્પિત કરીને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. 

બાલ દિવસ તરીકે ઉજવણી

પંડિત નેહરૂનો જન્મ 14 નવેમ્બર, 1889ના રોજ ઉત્તર પ્રદેશના ઈલાહાબાદ (પ્રયાગરાજ) ખાતે થયો હતો. પંડિત નેહરૂને બાળકો સાથે ખૂબ જ લગાવ હતો. બાળકો તેમને ચાચા નેહરૂ કહીને બોલાવતા હતા. પંડિત નેહરૂની જયંતિ બાલ દિવસ તરીકે પણ ઉજવાય છે. 1964ના વર્ષમાં પંડિત નેહરૂના અવસાન બાદ તેમની જયંતિના દિવસને બાલ દિવસ તરીકે ઉજવવાની શરૂઆત થઈ. પંડિત નેહરૂ 1947ના વર્ષમાં દેશની આઝાદી બાદ પ્રથમ વડાપ્રધાન બન્યા હતા. તેઓ 1964ના વર્ષમાં તેમના મૃત્યુ સુધી વડાપ્રધાન પદે જળવાઈ રહ્યા હતા. 

Share: