'શું તેની આરતી ઉતારીએ', બુલડોઝર એક્શન પર CM યોગીએ આપ્યો જવાબ

'શું તેની આરતી ઉતારીએ', બુલડોઝર એક્શન પર CM યોગીએ આપ્યો જવાબ

લખનઉ, તા.31 જુલાઈ-2023, સોમવાર

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આજે રાજ્યમાં ચાલી રહેલા બુલડોઝરથી લઈને કાયદાકીય વ્યવસ્થા પર મહત્વનું નિવેદન આપ્યું છે. સીએમ યોગીએ બુલડોઝર બાબાના પ્રશ્ન પણ કહ્યું કે, જો રાજ્યનો ઝડપથી વિકાસ કરવો હોય તો શું આજના યુગમાં આપણે કોદાળી અને પાવડો લઈ જઈશું ? રાજ્યને હવે વિકાસ માટે બુલડોઝર અને આધુનિક મશીનોની જરૂર છે.

‘જો કોઈ વિકાસમાં અવરોધ બને તો આપણે શું કરવું જોઈએ’

મુખ્યમંત્રી યોગીએ જણાવ્યું કે, જો કોઈ વિકાસમાં અવરોધ બને તો આપણે શું કરવું જોઈએ, શું તેને અટકાવવું જોઈએ નહીં ? તેમણે કહ્યું કે, પહેલા કોઈ કામ મંજૂર કરાતું હતું, ત્યારે માફિયાઓ તેને બળજબરીથી હડપ કરવા માટે આવી જતા હતા. હવે અમે આ માફિયાઓએ હડપ કરેલી જગ્યાને બુલડોઝરથી ખાલી કરાવવાનું કામ કર્યું છે. મુખ્યમંત્રી યોગીએ ન્યુઝ એજન્સી એએનઆઈ સાથે વાત કરતાં જણાવ્યું કે, એક પણ નિર્દોષ મુસ્લિમ એમ ન કહી શકે કે તેનું ઘર બુલડોઝર વડે તોડી પડાયું… ઉત્તર પ્રદેશમાં તો આવું કોઈ બોલી શકે નહીં અને જો આવું હોય તો ન્યાયતંત્ર બધા માટે ખુલ્લું છે. હું છ વર્ષથી મુખ્યમંત્રી છું… ઉત્તર પ્રદેશમાં કોઈ હિંસા થઈ નથી.

‘શું તેના માટે આરતી લઈને આવીએ… થાળી સજાવીએ’

મુખ્યમંત્રી યોગીએ વધુમાં જણાવ્યું કે, જો કોઈએ સરકારી સંપત્તિ પર કબજો કર્યો હોય તો શું કરવું જોઈએ ? શું તેના માટે આરતી લઈને આવીએ… થાળી સજાવીએ… અહીં આપણે જાણવું જોઈએ કે, ઉત્તર પ્રદેશની પ્રજા શું ઈચ્છે છે ? ઉત્તર પ્રદેશના લોકો માત્ર એટલું જ ઈચ્છે છે કે, તેમને સુરક્ષા મળે અને આ તમામ માફિયાઓ પર કડકાઈ કરવામાં આવે… 

કોઈને નહીં અપાય કાયદાો હાથમાં લેવાની છૂટ

સીએમ યોગી આદિત્યનાથે જણાવ્યું કે, તેઓ સજ્જનો માટે જેટલા સંવેદનશીલ છે, તેટલા જ દુષ્ટો માટે કડક છે અને આ શાસનની રણનીતિ પણ છે. આ સિસ્ટમ દરેકની સુરક્ષા માટે જરૂરી છે. રાજ્યમાં કાયદાનું શાસન રહેશે પરંતુ કોઈને પણ કાયદાને બાનમાં લેવાની મંજૂરી આપવામાં આવશે નહીં. સજાની જોગવાઈ સિસ્ટમની જોગવાઈ છે. આ વ્યવસ્થાઓ અને જોગવાઈઓ કાયદા અનુસાર લાગુ કરવામાં આવે છે.

Share: