વસુંધરા રાજેના વળતા પ્રહાર! ગેહલોતને હારનો ડર, MLAએ પૈસા લીધા છે તો FIR કેમ ન કરાવી?

વસુંધરા રાજેના વળતા પ્રહાર! ગેહલોતને હારનો ડર, MLAએ પૈસા લીધા છે તો FIR કેમ ન કરાવી?

image : facebook

રાજસ્થાનના રાજકારણમાં મુખ્યમંત્રી અશોક ગેહલોતના નિવેદનથી હડકંપ મચી ગયું છે. ગેહલોત દ્વારા સચિન પાઈલટના બળવા વખતે ભાજપના પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે સહિત અન્ય બે નેતાઓએ મદદ કરી હોવાનો દાવો કરાયા બાદથી રાજકારણ ગરમાયું છે. હવે આ મામલે પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના કદાવર નેતા વસુંધરા રાજેએ અશોક ગેહલોત સામે વળતા પ્રહાર કર્યા છે. 

મારી વિરુદ્ધ ગેહલોત કાવતરું ઘડી રહ્યા છે…. વસુંધરાનો મોટો દાવો 

આ મામલે પ્રતિક્રિયા આપતાં વસુંધરા રાજેએ કહ્યું કે અશોક ગેહલોત જુઠ્ઠું બોલી રહ્યા છે. તેઓ મારી વિરુદ્ધ કાવતરું ઘડી રહ્યા છે. તેમણે કહ્યું કે હું અશોક ગેહલોતની મદદ કેમ કરીશ? જેટલું અપમાન તેમણે મારું કર્યું છે એટલું તો કોઈએ નથી કર્યું. તેમણે કહ્યું કે 2023માં થનારા પરાજયથી ભયભીત થઈને તેઓ જુઠ્ઠાણું ફેલાવી રહ્યા છે. 

અમિત શાહને લઈને આપ્યું મોટું નિવેદન 

વસુંધરા રાજેએ કહ્યું કે અશોક ગેહલોતે એ ગૃહમંત્રી અમિત શાહ પર આરોપ મૂક્યો છે જેમની ઈમાનદારી અને સત્ય નિષ્ઠા સર્વ વિદિત છે. રાજેએ કહ્યું કે લાંચી લેવી અને આપવી બંને ગુનો છે. જો તેમના ધારાસભ્યોએ પૈસા લીધા છે તો એફઆઈઆર કેમ નથી કરાવતા? સત્ય તો એ છે કે પોતાની જ પાર્ટીમાં થઈ રહેલા બળવા અને ઘટતા જતા જનાધારને લીધે રઘવાયા થતાં અશોક ગેહલોતે આવા અમર્યાદિત અને જુઠ્ઠાં આરોપો મૂક્યા છે. 

અશોક ગેહલોતને ઘેરતાં હોર્સ ટ્રેડિંગનો આરોપ મૂક્યો 

પૂર્વ મુખ્યમંત્રીએ કહ્યું કે ધારાસભ્યોનું ખરીદ-વેચાણ (હોર્સ ટ્રેડિંગ)ની વાત છે ત્યાં સુધી ખુદ અશોક ગેહલોતે જ આ કામ કર્યું છે. તેમણે 2008 અને  2018માં લઘુમતમાં હોવાને કારણે આવું કર્યું હતું. તે સમયે ન ભાજપને બહુમતી મળી હતી અને ન તો કોંગ્રેસને. તે સમયે અમારી ઈચ્છા હોત તો અમે સરકારી બનાવી લીધી હોત પણ આ ભાજપના સિદ્ધાંતો વિરુદ્ધ હતું. તેનાથી વિપરિત ગેહલોતે લેવડ-દેવડ કરીને સરકાર રચી હતી. 

Share: