×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

'વર્કિંગ વુમન અંગે તાલિબાન-RSSના વિચાર એક સમાન', દિગ્વિજય સિંહે મોહન ભાગવત પર સાધ્યું નિશાન


- તાલિબાને એવું નિવેદન પણ આપ્યું છે કે, મહિલાઓ મંત્રી ન બની શકે, તે ફક્ત બાળકો પેદા કરે છે

નવી દિલ્હી, તા. 10 સપ્ટેમ્બર, 2021, શુક્રવાર

અફઘાનિસ્તાનમાં તાલિબાની શાસન આવ્યા બાદ ભારતમાં પણ સતત આ મુદ્દે વિવાદ ચાલુ છે. વચગાળાની સરકારની રચના બાદ તાલિબાને તાજેતરમાં મહિલાઓ મંત્રી ન બની શકે તે અર્થનું નિવેદન આપ્યું હતું. હવે આ નિવેદનના બહાને કોંગ્રેસી નેતા દિગ્વિજય સિંહે ભારતમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પર નિશાન સાધ્યું છે. 

કોંગ્રેસી નેતા દિગ્વિજય સિંહે શુક્રવારે સવારે એક ટ્વીટ કરી હતી જેમાં લખ્યું હતું કે, તાલિબાન કહે છે કે, મહિલાઓ મંત્રી બનાવવાને લાયક નથી. મોહન ભાગવત કહે છે કે, મહિલાઓએ ઘરે જ ગૃહસ્થી ચલાવવી જોઈએ. શું વિચારોમાં સમાનતા છે? દિગ્વિજય સિંહે સવાલ કર્યો હતો કે, શું RSS અને તાલિબાનના મહિલાઓ માટેના વિચારો એક સમાન છે?

હકીકતે કોંગ્રેસી નેતા દિગ્વિજય સિંહે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતનું એક જૂનું નિવેદન શેર કર્યું છે. તે 2013નું નિવેદન છે જેમાં મોહન ભાગવતે કહ્યું હતું કે, પતિ-પત્ની વચ્ચે લગ્ન એક સમજૂતી છે જેમાં પત્ની ઘરની દેખભાળ અને બાકીની વસ્તુઓનું ધ્યાન રાખે છે જ્યારે પતિ કામકાજ અને મહિલાની સુરક્ષાની જવાબદારી સંભાળે છે. 

ઉલ્લેખનીય છે કે, તાલિબાન મુદ્દે ભારતમાં સતત વિવાદ ચાલે છે. વિપક્ષના અનેક નેતાઓએ આ મુદ્દે સરકારને ઘેરી છે. અનેક નેતાઓએ તાલિબાન મુદ્દે એવા નિવેદનો પણ આપ્યા છે જેને લઈ હોબાળો મચેલો છે. 

દિગ્વિજય સિંહે પણ ભારત સરકારને અફઘાનિસ્તાન મુદ્દે નીતિ સ્પષ્ટ કરવા કહ્યું હતું. દિગ્વિજય સિંહે ટ્વીટમાં લખ્યું હતું કે, મોદી-શાહ સરકારે હવે સ્પષ્ટ કરવું પડશે કે જે તાલિબાન સરકારમાં ઘોષિત આતંકવાદી સંગઠનના સદસ્ય અને ઘોષિત ઈનામી આતંકવાદીઓ મંત્રી છે તેને ભારત માન્યતા આપશે?

અફઘાનિસ્તાન પર કબજો જમાવ્યા બાદ તાલિબાને એવું જાહેર કર્યું હતું કે, તે મહિલાઓને સરકારમાં સામેલ કરશે. પરંતુ તાજેતરમાં રચવામાં આવેલી વચગાળાની સરકારમાં મહિલાઓને જગ્યા નથી અપાઈ. આ બધા વચ્ચે તાલિબાને એવું નિવેદન પણ આપ્યું છે કે, મહિલાઓ મંત્રી ન બની શકે, તે ફક્ત બાળકો પેદા કરે છે.