વધુ એક ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડીંગ : એર ઈન્ડિયાની ન્યૂયોર્ક-દિલ્હીની ફ્લાઈટ લંડન ડાયવર્ટ કરાઈ

વધુ એક ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડીંગ : એર ઈન્ડિયાની ન્યૂયોર્ક-દિલ્હીની ફ્લાઈટ લંડન ડાયવર્ટ કરાઈ

નવી દિલ્હી, તા.20 ફેબ્રુઆરી-2023, સોમવાર

ન્યૂયોર્કથી દિલ્હી જતી એર ઈન્ડિયાની ફ્લાઈટને મેડિકલ ઈમરજન્સીના કારણે લંડન ડાયવર્ટ કરવામાં આવી છે. ફ્લાઇટ ટ્રેકિંગ વેબસાઇટ ફ્લાઈટરાડાર24 પર ઉપલબ્ધ માહિતી અનુસાર ફ્લાઇટનું સંચાલન બોઈંગ 777-337 (ER) એરક્રાફ્ટ દ્વારા કરવામાં આવી રહ્યું છે. અધિકારીએ જણાવ્યું કે ફ્લાઇટમાં મેડિકલ ઈમરજન્સીના કારણે ફ્લાઈટને લંડન ડાયવર્ટ કરવામાં આવી હતી.

લંડનના હીથ્રોમાં ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ

આ ફ્લાઈટ નોર્વેજિયન એરસ્પેસની ઉપર હતું ત્યારે તેને લંડનના હીથ્રો ખાતે ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. આ વિમાનમાં 350થી વધુ મુસાફરો હોવાની સંભાવના છે. અધિકારીએ કહ્યું કે, મુસાફરને ઉતાર્યા બાદ વિમાન લંડનથી દિલ્હી જશે. મેડિકલ ઈમરજન્સી વિશેની વિગતો તાત્કાલિક જાણી શકાઈ નથી. એરક્રાફ્ટના પાયલોટના જણાવ્યા અનુસાર દિલ્હીમાં લેન્ડિંગ પહેલા ફ્લાઈટ ઓછામાં ઓછા 6-7 કલાક મોડી પડે તેવી શક્યતા છે.

ઈન્ડિગો ફ્લાઈટનું પણ કરાયું હતું ઈમરજન્સી લેન્ડીંગ

આ અગાઉ નવી દિલ્હીથી દેવગઢ જઈ રહેલી ઈન્ડિગો ફ્લાઈટમાં બોંબ હોવાની સૂચના મળ્યા બાદ આ ફ્લાઈટનું ઈમરજન્સી લખનૌમાં લેન્ડીંગ કરવામાં આવ્યું હતું. ફ્લાઈટનાં પેસેન્જરોની સુરક્ષાને ધ્યાને રાખી એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડીંગ કરાવ્યા બાદ તપાસ શરૂ કરવામાં આવી હતી. ઈન્ડિગોના જણાવ્યા અનુસાર દિલ્હીથી દેવગઢ જઈ રહેલી ફ્લાઈટમાં બોંબ હોવાની સૂચના મળ્યા બાદ હડકંપ મચ્યો હતો. દિલ્હીથી દેવગઢ જઈ રહેલી ઈન્ડિગો ફ્લાઈટ 6E 6191માં બોંબ હોવાની ધમકી મળ્યા બાદ ફ્લાઈટને લખનૌ એરપોર્ટ પર ડાયવર્ટ કરવામાં આવી હતી.

Share: