લ્યો! ઈમરાન ખાન પછી PTIના નેતા ફવાદ ચૌધરીની આગોતરા જામીન મળ્યા છતાં ધરપકડ કરી લેવાઈ

લ્યો! ઈમરાન ખાન પછી PTIના નેતા ફવાદ ચૌધરીની આગોતરા જામીન મળ્યા છતાં ધરપકડ કરી લેવાઈ

image : Twitter

પાકિસ્તાન તહરીક-એ ઈન્સાફ (પીટીઆઈ)ના વડા ઈમરાન ખાનની ધરપકડ બાદ તેમના નજીકના અને પક્ષના નેતા ફવાદ ચૌધરીની પણ ઈસ્લામાબાદમાં સુપ્રીમ કોર્ટની બહારથી ધરપકડ કરવામાં આવી હતી. સ્થાનિક અહેવાલ અનુસાર, પીટીઆઈના નેતાઓ અને કાર્યકર્તાઓ પર ચાલી રહેલા ક્રેકડાઉન વચ્ચે આ ઘટના સામે આવી છે. રિપોર્ટ અનુસાર, ધરપકડથી બચવા માટે ફવાદ ચૌધરી સવારે 11 વાગ્યે પાકિસ્તાન સુપ્રીમ કોર્ટની અંદર હાજર હતા.

એમપીઓની કલમ 3 હેઠળ ધરપકડ

જ્યારે ફવાદ ચૌધરી સુપ્રીમ કોર્ટ પરિસરમાંથી બહાર આવ્યા ત્યારે ઈસ્લામાબાદ પોલીસે તેમની ધરપકડ કરી હતી. મેન્ટેનન્સ ઓફ પબ્લિક ઓર્ડર (MPO)ની કલમ 3 હેઠળ ધરપકડ કરવામાં આવી છે. પીટીઆઈએ એક ટ્વિટમાં લખ્યું, “ઈસ્લામાબાદ હાઈકોર્ટ દ્વારા 12 મે સુધી રક્ષણાત્મક જામીન આપવામાં આવ્યા હોવા છતાં ફવાદ ચૌધરીની સુપ્રીમ કોર્ટની બહાર ધરપકડ કરવામાં આવી હતી. પાકિસ્તાનમાં જંગલનો કાયદો છે.

આગોતરા જામીન મળ્યા છતાં કરાઈ ધરપકડ 

ધરપકડ પહેલા પત્રકારો સાથે વાત કરતા ફવાદ ચૌધરીએ કહ્યું હતું કે વકીલ સમુદાય નબળો પડી ગયો છે કારણ કે તેમની વચ્ચે પરસ્પર ઝઘડો ચાલી રહ્યો છે. તેમણે કહ્યું કે આ પહેલા ક્યારેય કોઈ અરજદારની આ રીતે ધરપકડ કરવામાં આવી નથી. તેમણે વધુમાં કહ્યું કે ઈસ્લામાબાદ હાઈકોર્ટે એક દિવસ પહેલા જ તેમના આગોતરા જામીન મંજૂર કર્યા હતા, જે તેણે પોલીસને બતાવ્યા હતા. ફવાદ ચૌધરીની ધરપકડ પહેલા, આતંકવાદ વિરોધી દળ (ATS) એ પીટીઆઈના જનરલ સેક્રેટરી અસદ ઉમરની ઈસ્લામાબાદ હાઈકોર્ટ પરિસરમાંથી ધરપકડ કરી હતી.

Share: