લોકમાન્ય તિલક પુરસ્કારથી સન્માનિત થયા વડાપ્રધાન મોદી, શરદ પવાર પણ મંચ પર રહ્યા હાજર

લોકમાન્ય તિલક પુરસ્કારથી સન્માનિત થયા વડાપ્રધાન મોદી, શરદ પવાર પણ મંચ પર રહ્યા હાજર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મંગળવારે પુણેમાં તિલક સ્મારક ટ્રસ્ટ તરફથી લોકમાન્ય તિલક રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત કરાયા. ખાસ વાત એ છે કે, વિપક્ષી એકતાની કવાયત અને NCPમાં વિખવાદ વચ્ચે શરદ પવાર પણ આ કાર્યક્રમનો ભાગ બન્યા અને તેમણે વડાપ્રધાન મોદી સાથે મંચ શેર કર્યું. આ દરમિયાન બંને નેતાઓએ એકબીજાના હાલચાલ પણ પૂછ્યા. જોકે, પુરસ્કાર ટ્રસ્ટના મુખ્ય ટ્રસ્ટી દીપક તિલકના હાથે અપાયો. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ એવોર્ડની રકમ નમામિ ગંગે યોજનાને આપવાનું એલાન કર્યું.

શરદ પવારે કર્યો કટાક્ષ

આ દરમિયાન શરદ પવારે કહ્યું કે, શિવાજી મહારાજે પોતાનું સામ્રાજ્ય બનાવ્યું. પરંતુ તેમણે કોઈની જમીન નહોતી છીનવી. પવારે કહ્યું કે, હવે સર્જિકલ સ્ટ્રાઈકની ચર્ચા થઈ રહી છે. પરંતુ લાલ મહેલમાં પહેલી સર્જિકલ સ્ટ્રાઈક શિવાજી મહારાજના સમયમાં થઈ હતી. જ્યારે લોકમાન્યએ પુણેમાં પ્રવેશ કર્યો તો તેમણે એક માહોલ બનાવ્યો કે જો બ્રિટિશ હાથકડી તોડવી છે તો સામાન્ય લોકોને જાગવું પડશે.

સહયોગીઓની અપીલ ન માની

આ પહેલી વખત બન્યું છે, જ્યારે અજિત પવારની બળવાખોરી બાદ શરદ પવાર અને વડાપ્રધાન મોદી કોઈ કાર્યક્રમમાં એક મંચ પર સાથે દેખાયા હોય. પહેલા અટકળો હતી કે શરદ પવાર આ કાર્યક્રમમાં સામેલ નહીં થાય. જોકે, શરદ પવારે કાર્યક્રમમાં હાજરી આપી હતી.

સહયોગીઓની અપીલને સાઈડલાઈન કરતા શરદ પવારે વડાપ્રધાન સાથે સ્ટેજ શેર કર્યું. જોકે, તિલક સ્મારકના આ પુરસ્કારની જાહેરાત બાદથી કોંગ્રેસ નાખુશ છે. તેમ છતા શરદ પવાર વિપક્ષી એકતાના એજન્ડા સાથે અલગ ચાલતા દેખાયા. 

અજીત પવાર પણ કાર્યક્રમમાં સામેલ

આ કાર્યક્રમમાં વડાપ્રધાન મોદી, શરદ પવાર સિવાય મહારાષ્ટ્રના રાજ્યપાલ રમેશ બેઝ, સીએમ એકનાથ શિંદે, નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, નાયબ મુખ્યમંત્રી અજિત પવાર, પૂર્વ ગૃહમંત્રી સુશીલ કુમાર શિંદે હાજર રહ્યા. જોકે, કાકા સાથે બળવાખોરી બાદ જાહેર કાર્યક્રમમાં સ્ટેજ પર પહેલીવાર શરદ પવાર અને અજિત પવાર આમને-સામને થયા. જોકે, અજિત પવારે શરદ પવાર સામે આંખો મિલાવી ન હતી. તેઓ શરદ પવારની પાછળ પાછળ ચાલતા નજરે પડ્યા.

Share: