'રોકો, ટોકો, ન માને તો ઠોકો…' વધુ એક ધર્મ સંસદ અને વધુ એક નવો વિવાદ

'રોકો, ટોકો, ન માને તો ઠોકો…' વધુ એક ધર્મ સંસદ અને વધુ એક નવો વિવાદ


– જે હિંદુઓનું સન્માન નથી કરી શકતા તેમણે પાકિસ્તાન કે પછી બાંગ્લાદેશ જતા રહેવું જોઈએઃ મહામંડલેશ્વર પ્રભુદાનંદ મહારાજ

નવી દિલ્હી, તા. 30 જાન્યુઆરી, 2022, રવિવાર

છત્તીસગઢ ખાતે યોજાયેલી ધર્મ સંસદનો વિવાદ હજુ ઠંડો નથી પડ્યો ત્યાં હવે પ્રયાગરાજમાં વધુ એક આવી ધર્મ સંસદ યોજાઈ ગઈ છે જ્યાં ફરી વિવાદિત નિવેદનોનો ધોધ વહ્યો છે. તેમાં યતિ નરસિંહાનંદ અને વસીમ રિઝવી ઉર્ફે જિતેન્દ્ર ત્યાગીની મુક્તિ માટે માગણી કરવામાં આવી અને તે સિવાય દેશની સરકાર સામે કેટલાક મોટા પ્રસ્તાવ પણ રાખવામાં આવ્યા. 

હિંદુ રાષ્ટ્ર બનાવવાની માગ

પહેલા પ્રસ્તાવમાં ધર્મ સંસદમાં ઉપસ્થિત સંતોએ ભારતને હિંદુ રાષ્ટ્ર ઘોષિત કરવાની વાત કરી. બીજા પ્રસ્તાવમાં ધર્માંતરણના બનાવો સંપૂર્ણપણે રોકવા માટે કાયદાને વધુ આકરા બનાવવાની માગ કરી અને ધર્માંતરણ કરાવનારાઓને ફાંસીની સજા આપવાની માગ કરી. ત્રીજા પ્રસ્તાવમાં હરિદ્વાર ખાતે ધર્મ સંસદમાં ઉશ્કેરણીજનક ભાષણ આપનારા સ્વામી યતિ નરસિંહાનંદ અને જિતેન્દ્ર ત્યાગી ઉર્ફે વસીમ રિઝવીને કોઈ પણ પ્રકારની શરત વગર જેલમાંથી મુક્ત કરવાની માગણી પણ કરવામાં આવી. 

મહામંડલેશ્વર પ્રભુદાનંદ મહારાજે ઈસ્લામિક ધર્મને લઈ ખૂબ જ ભડાસ કાઢી અને જિહાદી બિલ્લી ગણાવીને હિંદુઓને કબૂતર કહી દીધા. તેમણે કહ્યું કે, જે પણ દેશવિરોધી ગતિવિધિઓમાં સામેલ છે અને જે હિંદુઓનું સન્માન નથી કરી શકતા તેમણે પાકિસ્તાન કે પછી બાંગ્લાદેશ જતા રહેવું જોઈએ. 

હથિયાર ધારણ કરવાની વાત 

સંત કેશરી મહારાજે આ ધર્મ સંસદમાં મુસ્લિમોની જાતિ ગણાવીને કહ્યું કે, 3 જગ્યાઓએથી ફતવા બહાર પાડવામાં આવે છે. ભારત સરકાર સમક્ષ માગણી છે કે, આ સંસ્થાઓને ખતમ કરી નાખવામાં આવે. કાર્યક્રમના મુખ્ય અતિથિ જગતગુરૂ શંકરાચાર્ય નરેન્દ્રાનંદ સરસ્વતીએ કહ્યું કે, આપણે આપણા દેવી-દેવતાઓ પાસેથી શિક્ષા ગ્રહણ કરીને આપણા હાથોમાં અસ્ત્ર શસ્ત્ર ધારણ કરીએ. 

તેમણે એટલે સુધી કહી દીધું કે,  રોકો, ટોકો અને ના માને તો ઠોકી દો. તેમણે દેશનું સંરક્ષણ બજેટ વધારવાની પણ વિનંતી કરી હતી અને દેશદ્રોહીઓને ગરમ તેલમાં સ્નાન કરાવવાની તૈયારી કરવા કહ્યું હતું. તેમણે મહાત્મા ગાંધીને રાષ્ટ્રપિતા માનવાની મનાઈ કરી દીધી હતી અને નેતાજી સુભાષચંદ્ર બોઝને ભારતના પ્રથમ વડાપ્રધાન ગણાવ્યા હતા. 

હિંદુઓ 5 બાળકો કરે..

શંકરાચાર્ય નરેન્દ્રાનંદ સરસ્વતીએ ધર્મ સંસદમાં માગણી કરી હતી કે, ઉત્તરાખંડ સરકાર કોઈ પણ પ્રકારની શરત વગર યતિ નરસિંહાનંદ અને જિતેન્દ્ર નારાયણ ત્યાગીને એક મહિનાની અંદર મુક્ત કરે. એવું નહીં બને તો ઉગ્ર આંદોલન કરવાની ચેતવણી આપી હતી. તેમણે એમ પણ કહ્યું કે, ધર્માંતરણ કરનારાઓને ફાંસી થવી જોઈએ અને હિંદુઓએ 5 બાળકો પેદા કરવા જોઈએ. 

Share: