‘રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રામાં ટુકડે-ટુકડે ગેંગના લોકો સામેલ થયા’ ભાજપે સાધ્યું નિશાન

‘રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રામાં ટુકડે-ટુકડે ગેંગના લોકો સામેલ થયા’ ભાજપે સાધ્યું  નિશાન
Image – Twitter

નવી દિલ્હી, તા.30 જાન્યુઆરી-2023, સોમવાર

ભારત જોડો યાત્રાની આજે કાશ્મીરમાં પૂર્ણાહુતી થઈ છે. કોંગ્રેસ આ યાત્રાને સફળ કહી રહી છે, તો બીજી તરફ યાત્રાને લઈને ભાજપે કોંગ્રેસ પક્ષ પર જોરદાર પ્રહારો શરૂ કરી દીધા છે. ભાજપના પ્રવક્તા સુધાંશુ ત્રિવેદીએ પત્રકાર પરિષદ યોજી કોંગ્રેસની ભારત જોડો યાત્રા પર આકરી ટીપ્પણીઓ શરૂ કરી દીધી છે. ભાજપે કહ્યું કે, જો કોંગ્રેસ લાલ ચોક પર તિરંગો ફરકાવી શકી છે તો આ મોદી સરકારમાં જ સંભવ છે.

યાત્રામાં જોડાયેલા નેતાઓએ રસ્તા પર બીફ પાર્ટી કરી : ભાજપ નેતા

ભાજપના નેતા સુધાંશુ ત્રિવેદીએ કહ્યું કે, રાજકીય રીતે પ્રેરિત ભારત જોડો યાત્રા કેરળમાંથી શરૂ થઈ હતી, જ્યાં કોંગ્રેસના નેતાઓ યાત્રામાં જોડાયા હતા. આ નેતાઓએ રસ્તા પર બીફ પાર્ટી કરી હતી, ત્યારબાદ પાદરી જ્યોર્જ પુનિયા યાત્રામાં જોડાયા. પુનિયાએ કહ્યું કે, તેઓ ભારતીય ભૂમિને અપવિત્ર માને છે.

રાહુલ ગાંધીએ આ લોકો સાથે કરી મુલાકાત

સુધાંશુ ત્રિવેદીએ કહ્યું કે, રાહુલ ગાંધી તમિલનાડુમાં એસપી ઉદય કુમારને મળ્યા, જેમણે તમિલ અલગતાવાદનું નિવેદન પણ આપી ચુક્યા છે.

રાહુલના સહયોગીઓ પર ઉઠાવ્યા સવાલ

ભાજપના નેતાએ વધુમાં આરોપ લગાવતા કહ્યું કે, રાહુલ ગાંધીની યાત્રાના કાયમી સહયોગી કન્હૈયા કુમાર હતા, જે ટુકડે-ટુકડે ગેંગ સાથે સંબંધ ધરાવે છે. જ્યારે આ યાત્રા કાશ્મીર નજીક પહોંચી ત્યારે યાત્રાના સંયોજક દિગ્વિજય સિંહે સર્જિકલ સ્ટ્રાઈક પર સવાલ ઉઠાવ્યા. ભાજપા નેતાએ કટાક્ષ કરતા કહ્યું કે, નફરતના ઝેરથી ભરેલો સામાન લઈને રાહુલ ગાંધી કયું પ્રેમ અભિયાન ચલાવી રહ્યા હતા?

Share: