રાજ્યમાં આગામી પાંચ દિવસ અતિ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓેને ઘમરોળશે

રાજ્યમાં આગામી પાંચ દિવસ અતિ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓેને ઘમરોળશે

ગુજરાતમાં વિધિવત રીતે ચોમાસું બેસી ગયુ છે અને છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના અનેક જિલ્લામાં ભારે વરસાદને પગલે જળબંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ થયુ છે ત્યારે હવમાન વિભાગે રાજ્યમાં આગામી 5 દિવસ અનેક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે તેમજ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં  24 કલાક બાદ ચોમાસાનું જોર વધી શકે છે. આ દરમિયાન આજે સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

Image : pixabay

હવમાન વિભાગના અનુમાન મુજબ આજથી આગામી 5 દિવસ વરસાદી માહોલ સર્જાશે જેના પગલે ભેજનું પ્રમામ ઓછું થશે અને વાતાવરણમાં ઠંડક પ્રસરી જશે. આ ઉપરાંત હવામાન વિભાગે આપેલી માહિતી મુજબ આજે રાજ્યમાં બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, ગાંધીનગર, મહેસાણા, અરવલ્લી, ખેડા, મહિસાગર, પંચમહાલ સહિતના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની સંભાવના છે. જ્યારે સૌરાષ્ટ્ર, કચ્છમાં પણ વરસાદ થઈ શકે છે. આગમી બે દિવસ દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, ડાંગમાં ભારે વરસાદ થઈ શકે છે. આ ઉપરાંત આજે અને આવતીકાલે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. આ સાથે જ 28મી તારીખે દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદી શક્યતા છે અને 29મી તારીખે દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 

અમદાવાદમાં બે દિવસ વાદળછાયું વાતાવરણ રહેશે 

અમદાવાદ શહેરમાં ગઈકાલે સવારના સમયે ભેજનું પ્રમાણ 78 ટકા જ્યારે સાંજના સમયે ભેજનું પ્રમાણ 78 ટકા રહ્યું હતું. હવામાન વિભાગની આગાહી મુજબ અમદાવાદમાં આગામી બે દિવસ વાદળછાયું વાતાવરણ રહેશે તેમજ આજે કેટલાક ભાગોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા પડી શકે છે.  અમદાવાદમાં આગામી 28થી 30 જૂન દરમિયાન ગાજવીજ સાથે વરસાદ પડે તેવી સંભાવના છે. આ ઉપરાંત આગામી 30 જૂન સુધી સરેરાશ મહત્તમ તાપમાન 34 ડિગ્રીની આસપાસ જ રહેશે. 

Image : pixabay

આજે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી

આજે હવામાન વિભાગ દ્રાર આપવામા આવેલી આગાહી મુજબ દ્વારકા, જામનગર, મોરબીમાં વરસાદ થઈ શકે છે. તેમજ સુરેન્દ્રનગર, જૂનાગઢ, બોટાદમાં વરસાદ થવાની સંભાવના છે. આ ઉપરાંત રાજકોટ, પોરબંદર, ગીર સોમનાથ, કચ્છ, અમરેલી, ભાવનગર, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, નર્મદા, ભરૂચ, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ, દાહોદ, પંચમહાલ, વડોદરા, સુરત, તાપી, વલસાડ, ડાંગમાં વરસાદ થઈ શકે છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 94 તાલુકામાં મેઘરાજા વરસ્યા

રાજ્યમાં ચોમાસાનો વિધિવત પ્રારંભ થઈ ગયો છે. બિપરજોય વાવાઝોડાને પગલે આ વર્ષે નિયત સમય કરતા 10 દિવસ મોડું શરુ થયુ છે ત્યારે છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 94 તાલુકામાં મેઘરાજા વરસ્યા હતા. ભાવનગરના ઘોઘામાં સૌથી વધુ ત્રણ ઈંચ વરસાદ વરસ્યો હતો અને અનેક જગ્યાએ પાણી ભરાય ગયા હતા. આ સાથે જ સૌરાષ્ટ્રના ગામડાઓમાં પણ ધોધમાર વરસાદ પડતા ઠેર ઠેર પાણી ભરાય ગયા હતા તેમજ રાજકોટ જિલ્લામાં મોટા મહિકામાં વીજળી પડતા એક ખેત મજૂરનું મોત થયુ હતું.

Share: