મોદી સરનેમ કેસમાં રાહુલ ગાંધીની અરજી પર પૂર્ણેશ મોદીએ SCમાં દાખલ કર્યો જવાબ

મોદી સરનેમ કેસમાં રાહુલ ગાંધીની અરજી પર પૂર્ણેશ મોદીએ SCમાં દાખલ કર્યો જવાબ

‘મોદી સરનેમ’ મામલે થયેલા માનહાનિ કેસમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની અરજી પર ફરિયાદી પૂર્ણેશ મોદીએ સોમવારે સુપ્રીમ કોર્ટમાં પોતાનો જવાબ દાખલ કર્યો. ફરિયાદીએ સુપ્રીમ કોર્ટમાં રાહુલ ગાંધીની અરજી ફગાવવાની માંગ કરી છે. રાહુલ ગાંધીએ ગુજરાત હાઈકોર્ટના નિર્ણયને પડકારતા પોતાની સજા પર રોક લગાવવાની માંગ કરતા સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. આ મામલે આગામી સુનાવણી 4 ઓગસ્ટના રોજ થશે.

પૂર્ણેશ મોદીએ પોતાના જવાબમાં શું કહ્યું?

ફરિયાદી પૂર્ણેશ મોદીએ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલા પોતાના જવાબમાં કહ્યું કે, રાહુલ ગાંઘીને રાહત આપવાનો કોઈ આધાર નથી. તેમનું આચરણ અભિમાન ભરેલું છે. વગર કારણે એક આખા વર્ગને અપમાનિત કર્યા બાદ તેમણે માફી માંગવાની ના પાડી દીધી. હાઈકોર્ટમાંથી સજા પામ્યા બાદ પણ તે અભિમાન ભર્યા નિવેદનો આપતા રહે છે. માત્ર સાંસદ સભ્યપદ બચાવવા માટે સજા રોક લગાવવાનો કોઈ આધાર નથી.

SCએ જવાબ દાખલ કરાવવા માટે આપ્યો હતો 10 દિવસનો સમય

આ પહેલા 21 જુલાઈએ સુપ્રીમ કોર્ટે ગુજરાત હાઈકોર્ટના આદેશને પડકાર આપનારી રાહુલ ગાંધીની અપીલ પર ગુજરાત સરકાર અને ફરિયાદીને કહ્યું હતું કે, તેઓ પોતાનો જવાબ દાખલ કરે.

જસ્ટિસ બી.આર. ગવઈ અને જસ્ટિસ પી.કે. મિશ્રાની બેન્ચે ગુજરાત સરકાર અને ફરિયાદી પૂર્ણેશ મોદીને નોટિસ પાઠવતા તેમણે સોગંદનામાના માધ્યમથી પોતાનો જવાબ દાખલ કરવા માટે 10 દિવસનો સમય આપ્યો હતો. તેની સાથે જ કોર્ટે રાહુલની સજા પર રોક લગાવવા મામલે સુનાવણી 4 ઓગસ્ટ માટે નક્કી કરી દીધી હતી.

Share: