મોદી સરકારનો મહત્વનો નિર્ણય: નાગાલેન્ડ, આસામ,મણિપુરમાં AFSPA વિસ્તાર ઘટાડ્યો

મોદી સરકારનો મહત્વનો નિર્ણય: નાગાલેન્ડ, આસામ,મણિપુરમાં AFSPA વિસ્તાર ઘટાડ્યો


– આ કાયદો આ રાજ્યોમાં તૈનાત સેના અને સુરક્ષા દળોને વિશેષ અધિકાર આપે છે

નવી દિલ્હી,તા. 31 માર્ચ 2022,ગુરૂવાર 

ભારત સરકારે આર્મ્ડ ફોર્સ સ્પેશિયલ પાવર્સ એક્ટને લઈને મોટો નિર્ણય લીધો છે. સરકારે પૂર્વોત્તર રાજ્યો નાગાલેન્ડ, આસામ અને મણિપુરમાં AFSPAને વિસ્તાર ઘટાડવાનો નિર્ણય કર્યો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ટ્વીટ કરીને તેની જાણકારી આપી છે. આ રાજ્યોમાંથી આ કાયદાના વિસ્તાર ઘટાડવાની માંગ લાંબા સમયથી કરવામાં આવી રહી હતી. મણિપુર વિધાનસભા ચૂંટણીમાં AFSPA એક મુખ્ય રાજનૈતિક મુદ્દો બની ગયો હતો. સરકારે પણ તેને ઘટાડવા વિશેનો સંકેત આપ્યો હતો.

તેમણે કહ્યું કે, AFSPA હેઠળના ક્ષેત્રોમાં ઘટાડોએ સુરક્ષાની સ્થિતિમાં સુધારણા અને ઉત્તર પૂર્વમાં સ્થાયી શાંતિ લાવવા અને બળવાખોરીનો અંત લાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર દ્વારા સતત પ્રયત્ન અને અનેક કરારોને કારણે ઝડપી વિકાસનું પરિણામ છે.

અમિત શાહે પીએમ મોદીનો આભાર માનતા લખ્યું કે, “નરેન્દ્ર મોદીની અતૂટ પ્રતિબદ્ધતાથી આપણા ઉત્તર પૂર્વ વિસ્તાર જે દાયકાઓથી ઉપેક્ષિત હતા તે હવે શાંતિ, સમૃદ્ધિ અને અભૂતપૂર્વ વિકાસના નવા યુગના સાક્ષી બની રહ્યા છે. હું આ મહત્વપૂર્ણ અવસર પર પૂર્વોત્તરના લોકોને અભિનંદન આપું છું. 

પૂર્વોત્તરના રાજ્યોમાં લાગુ છે AFSPA

AFSPA જમ્મુ-કાશ્મીર અને પૂર્વોત્તરના રાજ્યોમાં લાગુ છે. આ કાયદો આ રાજ્યોમાં તૈનાત સેના અને સુરક્ષા દળોને વિશેષ અધિકાર આપે છે. આ હેઠળ, સુરક્ષા દળો કોઈપણ પૂર્વ માહિતી અને વોરંટ વિના લોકોના ઘરની તપાસ કરી શકે છે અને પૂછપરછ કરી શકે છે. માનવઅધિકાર સંગઠન આ કાયદાનો દુરુપયોગ થઈ રહ્યાનો આરોપ લગાવતા રહ્યા છે. ગૃહમંત્રીએ જણાવ્યું કે, આ રાજ્યોમાં સુરક્ષાની સ્થિતિમાં સુધારો થયો છે અને ઝડપથી વિકાસ થયો છે. AFSPAના કાર્યક્ષેત્ર ઘટાડવામાં આ બંને બાબતોએ મહત્વની ભૂમિકા ભજવી છે. 

Share: