મોંઘા પેટ્રોલ-ડિઝલથી ક્યારે મળશે રાહત?, કેન્દ્રીય પ્રધાને આપ્યો આ જવાબ

મોંઘા પેટ્રોલ-ડિઝલથી ક્યારે મળશે રાહત?, કેન્દ્રીય પ્રધાને આપ્યો આ જવાબ

નવી દિલ્હી, 14 ઓગસ્ટ 2021 મંગળવાર

લોકો પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતો પ્રત્યે અત્યંત સંવેદનશીલ છે. આગામી સમયમાં સામાન્ય લોકોને તેલના ભાવમાં મોંઘવારીથી થોડી રાહત મળશે. કેન્દ્રિય પેટ્રોલિયમ અને નેચરલ ગેસ હરદીપ સિંહ પુરીએ મંગળવારે આ વાત કરી છે. એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે આંતરરાષ્ટ્રીય બજારમાં ખનીજ તેલના ભાવ ધીમે ધીમે નીચે આવી રહ્યા છે અને સ્થિર થઈ રહ્યા છે. તેમણે કહ્યું કે આગામી મહિનાઓમાં તેલની કિંમતો પર તેની અસર પડશે અને તે નીચે આવશે.

લોકો માટે એક્સાઈઝ ડ્યુટીનાં નાણાંનો ઉપયોગ

આ દરમિયાન કેન્દ્રીય મંત્રી પુરીએ તેલના ભાવ પર વધારે એક્સાઈઝ ડ્યુટી લાદવાના સરકારના નિર્ણયનો બચાવ કર્યો. તેમણે કહ્યું કે ઠીક છે સરકાર પ્રતિ લિટર 32 રૂપિયાની એક્સાઇઝ ડ્યુટી વસૂલે છે, પરંતુ તેમાંથી મળતા નાણાંનો ઉપયોગ વિવિધ જનકલ્યાણ યોજનાઓ માટે થાય છે. તેમણે કહ્યું કે સરકાર તેની અન્ય જવાબદારીઓ પ્રત્યે પણ ખૂબ સંવેદનશીલ છે. પુરીએ કહ્યું કે કોરોના બાદ 80 કરોડ લોકોને મફત રાશન આપવામાં આવ્યું હતું. મફત રસી આપવામાં આવી અને અન્ય સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી. આ બધા પૈસા ક્યાંથી આવ્યા? આ કિસ્સામાં તસવીરને સંપૂર્ણપણે જોવાની જરૂર છે.

2010 માં લાદવામાં આવેલ કર આજે પણ ચાલુ છે

કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે કેન્દ્ર સરકાર દ્વારા લાદવામાં આવેલી એક્સાઇઝ ડ્યુટી તે જ છે જે એપ્રિલ 2010 માં લાદવામાં આવી હતી. તેમણે કહ્યું કે જ્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં તેલની કિંમત 19 ડોલર અને 60 સેન્ટ પ્રતિ લિટર હતી ત્યારે પણ 32 રૂપિયા પ્રતિ લિટરના દરે  એક્સાઇઝ ડ્યુટી લાદવામાં આવી હતી. આંતરરાષ્ટ્રીય બજારમાં તેલની કિંમતો 75 ડોલર પ્રતિ લિટર પર પહોંચી ગઈ છે ત્યારે પણ આ જ દરે એક્સાઇઝ ડ્યૂટી લાદવામાં આવી છે. પુરીએ કહ્યું કે ભારતમાં તેલના ભાવ આંતરરાષ્ટ્રીય બજાર અનુસાર નક્કી થાય છે. તેમણે કહ્યું કે કેન્દ્ર સરકાર સિવાય રાજ્ય સરકારો પણ વેટ વસૂલે છે. 

Share: