મુંબઈઃ તારદેવ વિસ્તારમાં એક 20 માળીય ઈમારતમાં આગ હોનારત, 2ના મોત, 15 ઘાયલ

મુંબઈઃ તારદેવ વિસ્તારમાં એક 20 માળીય ઈમારતમાં આગ હોનારત, 2ના મોત, 15 ઘાયલ


– ફાયર વિભાગની 13 ગાડીઓની મદદથી આગ કાબૂમાં લેવાઈ

નવી દિલ્હી, તા. 22 જાન્યુઆરી, 2022, શનિવાર

મુંબઈમાં શનિવારે સવારના સમયે જ ભારે મોટી દુર્ઘટના બની છે. તારદેવ વિસ્તારમાં ભાટિયા હોસ્પિટલ પાસે એક ઈમારતમાં ભીષણ આગ લાગી ગઈ હતી. કમલા બિલ્ડિંગ નામની એક 20 માળીય ઈમારતમાં આગ લાગવાના કારણે લોકોમાં નાસભાગ મચી ગઈ છે. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 2 લોકોના મોત થયા છે અને 6 વડીલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે સાથે જ 15 લોકોને ઈજાઓ પહોંચી છે. 

મુંબઈના મેયર કિશોરી પેડનેકરના કહેવા પ્રમાણે 6 લોકોને ઓક્સિજન સપોર્ટની જરૂર હતી માટે તેમને નજીકની હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યા છે. આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે પરંતુ ધૂમાડાના કારણે લોકોને શ્વાસ લેવામાં મુશ્કેલી પડી રહી છે. 

13 ગાડીઓએ આગ પર કાબૂ મેળવ્યો

અધિકારીઓના કહેવા પ્રમાણે ઈમારતમાં લેવલ-3ની આગ લાગી હતી. આગ એટલી ભીષણ હતી કે, ફાયર વિભાગની 13 ગાડીઓની મદદથી તેના પર કાબૂ મેળવવો પડ્યો હતો. ઈમારતમાં રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે અને 5 એમ્બ્યુલન્સને તે સ્થળે તૈનાત કરવામાં આવી છે. 

Share: