મારી લોકપ્રિયતા જોઈને કોંગ્રેસ આક્ષેપ કરે છે: રૂપાણીએ SUDAમાં ગેરરીતિના આક્ષેપો ફગાવ્યા

મારી લોકપ્રિયતા જોઈને કોંગ્રેસ આક્ષેપ કરે છે: રૂપાણીએ SUDAમાં ગેરરીતિના આક્ષેપો ફગાવ્યા

– કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાએ પૂર્વ CM વિજયરૂપાણી સામે 27 હજાર કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો હોવાના આક્ષેપ મામલે વિજયરૂપાણીએ આપ્યો જવાબ

રાજકોટ, તા. 28 એપ્રિલ 2022, ગુરૂવાર

ગઈકાલે કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાએ ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પર જમીન કૌભાંડના ગંભીર આક્ષેપ લગાવ્યા હતા. મોઢવાડિયાના કૌભાંડ આક્ષેપો પર રૂપાણીએ આજે પત્રકાર પરિષદમાં પ્રતિક્રિયા આપી તમામ આક્ષેપો ફગાવી દીધા છે. પૂર્વ CM રૂપાણીએ ‘SUDA’માં ગેરરીતિના આક્ષેપો ફગાવીને કહ્યુ હતું કે, કોંગ્રેસ મારી લોકપ્રિયતા જોઈને ધડ માથા વગરના આક્ષેપો કરે છે.

પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મોઢવાડિયાને વળતો જવાબ આપતા કહ્યું હતુ કે, ગઈકાલે કોંગ્રેસના સિનિયર નેતાએ જે પણ આક્ષેપો કર્યો છે તે અંગે તેમણે અભ્યાસ નહી કર્યો હોય. મારી કોંગ્રેસને વિનંતી છે કે, તેઓ મહેરબાની કરીને અભ્યાસ કર્યા વગર કોઈ વાત ન કરે. આ પ્રકારની કામગીરી મારી લોકપ્રિયતાને અને પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવાનું કામ કરે છે. 

અર્જુન મોઢવાડિયાએ ગઈકાલે આક્ષેપો કર્યા હતા કે, ભાજપના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કાયદાનું ઉલ્લંઘન કરીને શહેરી સુવિધાઓમાં 122 રીઝર્વેશન હટાવીને 90 લાખ 80 હજાર ચો.મી. જમીન બિલ્ડરોને પધરાવીને રૂ. 30 હજાર કરોડનો લાભ કરાવી આપ્યો હતો. રૂ. 27 હજાર કરોડના આ ભ્રષ્‍ટાચારના નાણામાંથી કેટલા કમલમ્ કાર્યાલયમાં જમા થયા, કેટલા કોના ખિસ્‍સામાં ગયા અને કેટલા કોંગ્રેસના ધારાસભ્યોને ખરીદવામાં વપરાયા આ સમગ્ર કૌભાંડની હાઈકોર્ટના સીટીંગ જજના અધ્‍યક્ષપદવાળા પંચ માફરત તપાસ કરીને જવાબદારો સામે પગલાં લેવાની પણ અર્જુન મોઢવાડિયાએ માંગણી કરી હતી. આ મામલે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રેસ કોન્ફરન્સ સંબોધીને પ્રતિક્રિયા આપી હતી. 

સુરત અર્બન ઓથોરીટીની સ્થાપના 1978માં થઈ હતી. રિઝર્વેશન મતલબ એ નથી કે, જમીન આપણી થઈ ગઈ છે. 182 પ્લોટ 1986માં રિઝર્વ કરવામાં આવ્યા હતા. પહેલી વખત 2004માં રિવાઈઝ કરવામાં આવ્યું હતું ત્યારબાદ 8 ઓક્ટોબરમાં ફરીથી પ્લોટ રિવાઈઝ કરાયા હતા. 1986 થી 2020 સુધી કોઈ વધુ પ્રક્રિયા થઈ નથી. બીજી વખત રિવાઈઝમાં 201 પ્લોટની 1661 હેક્ટર જમીન રિઝર્વ કરાઈ હતી. આ અંગે અધિકારીઓ સાથે તમામ બાબતો પર ચર્ચા થઈ હતી. વિજય રૂપાણીએ કહ્યું હતું કે, કોંગ્રેસના ખોટા આરોપોથી પ્રતિષ્ઠાને મોટું નુકસાન થયું છે, આથી 15 દિવસની અંદર લેખિતમાં માફી માગે અને તમામ આરોપ પરત ખેંચી લે. 

Share: