માત્ર 16 મહિનાની દીકરીની યૌન ઉત્પીડન બાદ હત્યા, આરોપી દંપતી ટ્રેનમાં મૃતદેહ સાથે ઝડપાયું

માત્ર 16 મહિનાની દીકરીની યૌન ઉત્પીડન બાદ હત્યા, આરોપી દંપતી ટ્રેનમાં મૃતદેહ સાથે ઝડપાયું


– મૃતદેહને ઠેકાણે પાડવા માટે તેલંગાણાના સિકંદરાબાદથી ગુજરાતના રાજકોટમાં પોતાના ગૃહનગર જઈ રહ્યા હતા

નવી દિલ્હી, તા. 08 જાન્યુઆરી, 2022, શનિવાર

તેલંગાણાના સિકંદરાબાદ ખાતે એક કળયુગી બાપે પોતાની 16 મહિનાની દીકરીને યૌન ઉત્પીડનનો ભોગ બનાવી હતી અને બાદમાં ગળું દબાવીને તેની હત્યા કરી નાખી હતી. મહારાષ્ટ્રના સોલાપુર ખાતે રેલવે પોલીસે 16 મહિનાની દીકરીના મૃતદેહ સાથે યાત્રા કરી રહેલા દંપતીની ધરપકડ કરી છે. એક અધિકારીએ શુક્રવારે જણાવ્યું હતું કે, બાળકીના પિતાએ તેનું કથિત રીતે યૌન ઉત્પીડન કરીને ગળું દબાવી દીધું હતું અને આ કામમાં માતાએ તેના પિતાનો સાથ આપ્યો હતો. 

અધિકારીએ જણાવ્યું કે, રેલવે પોલીસે ગુરૂવારે સોલાપુર રેલવે સ્ટેશન પરથી ગુજરાત જઈ રહેલી એક ટ્રેનમાંથી બંને આરોપીને બાળકીના મૃતદેહ સાથે પકડ્યાં હતા. આરોપીઓ મૃતદેહને ઠેકાણે પાડવા માટે તેલંગાણાના સિકંદરાબાદથી ગુજરાતના રાજકોટમાં પોતાના ગૃહનગર જઈ રહ્યા હતા. 

પ્રાથમિક તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, ગત 3 જાન્યુઆરીના રોજ સિકંદરાબાદ ખાતે બાળકીના પિતા (26)એ પોતાના ઘરમાં તેનું કથિત યૌન ઉત્પીડન કર્યું હતું અને બાદમાં ગળું દબાવીને તેની હત્યા કરી નાખી હતી. આ ગુનામાં બાળકીની માતાએ પોતાના પતિનો સાથ આપ્યો હતો. 

અધિકારીએ જણાવ્યું કે, કેટલાક સતર્ક મુસાફરોને યાત્રા દરમિયાન બાળકીની કોઈ હલનચલન ન જણાતાં શંકા જાગી હતી અને તેમણે ટિકિટ નિરીક્ષકને જાણ કરી હતી. બાદમાં સોલાપુર સ્ટેશન પર રેલવે પોલીસને પણ આ અંગેની સૂચના આપવામાં આવી હતી. 

બંને આરોપીને સોલાપુર સ્ટેશન પર ઉતારવામાં આવ્યા હતા અને મેડિકલ તપાસ બાદ બાળકીને મૃત ઘોષિત કરવામાં આવી હતી. પુછપરછ દરમિયાન પિતાએ જ યૌન ઉત્પીડન બાદ બાળકીની ગળું દબાવીને હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું. સાથે જ માતાએ તેમાં મદદ કરી હોવાનું પણ જાણવા મળ્યું હતું. 

હાલ આ દંપતી વિરૂદ્ધ આઈપીસી અને પોક્સો અંતર્ગત કેસ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 

Share: