મમતા સરકાર બંગાળ ચૂંટણી હિંસાનાં મૃતકોના પરિવારને આપશે રૂ.2 લાખ, 1 વ્યક્તિને નોકરી

મમતા સરકાર બંગાળ ચૂંટણી હિંસાનાં મૃતકોના પરિવારને આપશે રૂ.2 લાખ, 1 વ્યક્તિને નોકરી

કોલકાતા, તા.12 જુલાઈ-2023, બુધવાર

પશ્ચિમ બંગાળ સરકારે પંચાયત ચૂંટણી દરમિયાન મૃત્યુ પામેલા લોકોને પરિવારજનોને 2-2 લાખ રૂપિયા વળતર આપવાની જાહેરાત કરી છે. ઉપરાંત મૃતક પરિવારના 1-1 વ્યક્તિને હોમગાર્ડમાં નોકરી આપવાની પણ કહ્યું છે. આ દરમિયાન કેન્દ્ર પર સવાલ ઉઠાવી કહ્યું કે, જ્યારે મણિપુર સળગી રહ્યું હતું, ત્યારે ક્યાં હતી ફેક્ટ ફાઈન્ડિંગ કમિટી… આ સાથે જ તેમણે પોલીસને કાર્યવાહી માટે ખુલ્લી છુટ આપવાની વાત કહી…

મમતાએ કહ્યું, અમે પક્ષના આધારે ભેદભાવ નહીં કરીએ

મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આજે જાહેરાત કરી કે, ચૂંટણી હિંસામાં જે 19 લોકોના મોત થયા છે, તેમના પરિવારને 2-2 લાખ રૂપિયા વળતર અને એક સ્પેશિયલ હોમ ગાર્ડની નોકરી અપાશે. મૃતકોમાં ટીએમસીના 10 લોકો પણ સામેલ છે. તેમણે કહ્યું કે, અમે પક્ષના આધારે ભેદભાવ નહીં કરીએ… સરકાર તરફથી તેમના પરિવારને વળતર અને નોકરી અપાશે.

પોલીસ ખુલ્લેઆમ હિંસા કરનારાઓ સામે કાર્યવાહી કરવા છૂટ આપી

આ સાથે મમતા બેનર્જીએ કહ્યું કે, હું બંગાળ પોલીસને હિંસા પાછળના લોકો સામે કાર્યવાહી કરવા છૂટ આપી રહી છું. પોલીસને ખુલ્લેઆમ હિંસા કરનારાઓ સામે કાર્યવાહી કરી શકે છે. તેમણે કહ્યું કે, હિંસાને ખોટી રીતે રીતે રજૂ કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે, 71,000 બૂથ પર ગ્રામીણ ચૂંટણી યોજાઈ હતી, પરંતુ હિંસાની ઘટનાઓ 60થી વધુ થઈ નથી.

જ્યારે મણિપુર સળગી રહ્યું હતું, ત્યારે ફેક્ટ ફાઈન્ડિંગ કમિટી ક્યાં હતી

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ જણાવ્યું કે, જ્યારે મણિપુર સળગી રહ્યું હતું ત્યારે ફેક્ટ ફાઈન્ડિંગ ટીમ ક્યાં હતી. NRCને કારણે આસામ સળગી રહ્યું હતું ત્યારે આ ટીમ ક્યાં હતી ? કેટલા કમિશને આ સ્થળોની મુલાકાત લીધી ? 2 વર્ષમાં લગભગ 154 ટીમોએ પશ્ચિમ બંગાળની મુલાકાત લીધી છે. તેમણે કહ્યું કે, આ ભાજપને ભળકાવનારી કમિટીઓ છે, ફેક્ટ ફાઈન્ડિંગ કમિટીઓ નથી….

પરિણામમાં TMCનો દબદબો, ભાજપ ઘણી પાછળ

પંચાયત ચૂંટણીમાં ટીએમસીએ મોટી જીત મેળવી છે. સત્તાધારી પક્ષે જીત મામલે ભાજપને ઘણી પાછળ છોડી દીધી છે. ગત ચૂંટણીમાં ભાજપે જ્યાં જીત નોંધાવી હતી, ત્યાં ટીએમસીએ જીત મેળવી… અત્યાર સુધીની જાણકારી મુજબ ટીએમસી 33 હજારથી વધુ ગ્રામ પંચાયત બેઠકો જીતી ચુકી છે. જ્યારે ભાજપે 9 હજાર બેઠકો પર જીત મેળવી છે. કોંગ્રેસને અઢી હજાર બેઠકો મળી છે. 2018માં ટીએમસીએ 48 હજાર 636 બેઠકોમાંથી 38,188 બેઠકો પર જીત નોંધાવી હતી.

જિલ્લા પરિષદની બેઠકોમાં પણ ટીએમસીની જ બોલબાલા

બીજીતરફ પંચાયત સમિતિની 9730 બેઠકોમાંથી ટીએમસીને 2612 બેઠકો પર અડીંગો જમાવ્યો છે અને ભાજપને માત્ર 275 બેઠકો જ મળી છે. જ્યારે જિલ્લા પરિષદની બેઠકોમાં પણ ટીએમસીની જ બોલબાલા છે. ચૂંટણીના દિવસે મોટાભાગે હિંસા અને બૂથ કેમ્પચિંગની ઘટનાઓ સામે આવી હતી. ત્યારબાદ 10 જુલાઈએ 697 બેઠકો પર ફરી મતદાન કરાવવું પડ્યું.

પોલીસ અધિકારીને ગોળી વાગી

દરમિયાન આજે દક્ષિણ 34 પરગણાના ભાંગોરમાં ટીએમસી અને આઈએસએફના કાર્યકર્તાઓ વચ્ચે હિંસક અથડાણ થઈ… ત્યારબાદ ક્રૂડ બોંબ ફેંકાયા.. ફાયરિંગ થયું… પોલીસે પણ રબ્બર બુલેટથી ફાયરિંગ કરવું પડ્યું અને અશ્રુગેસ છોડવા પડ્યા… એક પોલીસ અધિકારીએ કહ્યું કે, અથડામણમાં ઓછામાં ઓછા ત્રણ લોકોના મોત થયા છે. આ ઉપરાંત એએસપી રેંકના પોલીસ અધિકારી ઈજાગ્રસ્ત થયા છે. તેમને ગોળી વાગી હતી. 

Share: