મન કી બાતઃ વડાપ્રધાને કહ્યું- સ્વચ્છ ભારત અભિયાનના સંકલ્પને કદી પણ મંદ નથી પડવા દેવાનો

મન કી બાતઃ વડાપ્રધાને કહ્યું- સ્વચ્છ ભારત અભિયાનના સંકલ્પને કદી પણ મંદ નથી પડવા દેવાનો


– વડાપ્રધાને જણાવ્યું કે, તમિલનાડુના શિવગંગા જિલ્લાની કાજિરંગા પંચાયતે વેસ્ટમાંથી વેલ્થના મોડલનું ઉદાહરણ રજૂ કર્યું

નવી દિલ્હી, તા. 29 ઓગષ્ટ, 2021, રવિવાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘મન કી બાત’ રેડિયો કાર્યક્રમ દ્વારા દેશવાસીઓને સંબોધિત કર્યા હતા. ‘મન કી બાત’ કાર્યક્રમનો આજે 80મો એપિસોડ છે. વડાપ્રધાને કાર્યક્રમની શરૂઆતમાં મેજર ધ્યાનચંદની જયંતિ નિમિત્તે તેમને યાદ કર્યા હતા. તેમણે કહ્યું કે, મેજર ધ્યાનચંદનો આત્મા જ્યાં પણ હશે, પ્રસન્ન હશે કારણ કે વિશ્વમાં ભારતની હોકીનો ડંકો ધ્યાનચંદની હોકી સ્ટિક વડે વાગ્યો હતો અને ફરી એક વખત ભારતીય હોકી ખેલાડીઓએ 41 વર્ષ બાદ હોકીમાં દેશનું નામ ઉંચુ કર્યું છે. 

વડાપ્રધાને કહ્યું કે, ગમે તેટલા પદક કેમ ન મળી જાય, પરંતુ જ્યાં સુધી હોકીમાં મેડલ નથી મળતો ત્યાં સુધી ભારતનો કોઈ નાગરિક વિજયનો આનંદ નથી લઈ શકતો અને આ વખતે ઓલમ્પિકમાં હોકીને પદક મળ્યું, 4 દશક બાદ મેડલ મળ્યો. 

યુવાનોનું મન બદલાઈ રહ્યું છેઃ વડાપ્રધાન

વડાપ્રધાને આગળ જણાવ્યું કે, જ્યારે ખેલ-કૂદની વાત થાય છે ત્યારે સ્વાભાવિક છે કે આપણા સામે સમગ્ર યુવા પેઢી નજર આવે છે. અને જ્યારે યુવાન પેઢી તરફ ધ્યાનથી જોઈએ તો કેટલો મોટો બદલાવ જોવા મળે છે. યુવાનોનું મન બદલાઈ ચુક્યું છે. આજનું યુવા મન પહેલેથી તૈયાર રસ્તાઓ પર ચાલવા નથી માંગતુ. તેઓ નવો રસ્તો બનાવવા ઈચ્છે છે. અજાણી જગ્યાએ ડગલા માંડવા માંગે છે. મંજિલ પણ નવી, લક્ષ્ય પણ નવા, રસ્તો પણ નવો અને ચાહત પણ નવી. અરે એક વખત મનમાં નક્કી કરી લે ને યુવાનો પછી જીવ રેડી દે છે. દિવસ-રાત મહેનત કરે છે. આપણે જોઈએ છીએ કે, હજુ થોડા સમય પહેલા જ ભારતે પોતાના સ્પેસ સેક્ટરને ઓપન કર્યું અને જોત-જોતામાં યુવા પેઢીએ તે તક ઝડપી લીધી અને તેનો ફાયદો ઉઠાવવા કોલેજીસના સ્ટુડન્ટ, યુનિવર્સિટી, પ્રાઈવેટ સેક્ટરમાં કામ કરનારા નવયુવાનો બઢી-ચઢીને આગળ આવ્યા છે. 

રમતોને પ્રોત્સાહન આપવાથી ભારત નવી ઉંચાઈ હાંસલ કરશે 

વડાપ્રધાને જણાવ્યું કે, હવે દેશમાં ખેલ, ખેલ-કૂદને લઈ ખેલ ભાવના હવે અટકવી ન જોઈએ. આ મોમેન્ટ્સને પારિવારિક જીવનમાં સામાજીક જીવનમાં, રાષ્ટ્ર જીવનમાં સ્થાયી બનાવવાની છે. ઉર્જાથી ભરી દેવાની છે, નિરંતર નવી ઉર્જાથી ભરવાની છે. બધાના પ્રયત્નોથી જ ભારત રમતોમાં એ ઉંચાઈ પ્રાપ્ત કરી શકશે જેનું એ હકદાર છે. મારા પ્યારા નવયુવાનો, આપણે આ અવસરનો ફાયદો ઉઠાવીને વિવિધ પ્રકારની સ્પોર્ટ્સમાં મહારત પણ હાંસલ કરવી જોઈએ. ગામે-ગામ નિરંતર રમત સ્પર્ધાઓ ચાલતી રહેવી જોઈએ. 

સ્વચ્છતા પર જોર

વડાપ્રધાને કહ્યું કે, રાષ્ટ્ર નિર્માણ માટે બધાના પ્રયત્નો આપણને પ્રેરણા આપે છે. અમે એ જાણીએ છીએ કે જ્યારે પણ સ્વચ્છ ભારતનું નામ આવે તો ઈંદોરનું નામ જ આવે છે. ઈંદોર અનેક વર્ષોથી સ્વચ્છ ભારતની રેન્કિંગમાં ટોચ પર છે. કોરોના સંકટ કાળમાં સ્વચ્છતા અંગે જેટલી વાત થવી જોઈએ તેમાં ઉણપ રહી ગઈ. ઈંદોરના નાગરિકોએ નાલીઓને સીવર લાઈન્સ સાથે જોડી છે. સ્વચ્છતા અભિયાન પણ ચલાવ્યું છે. આ કારણે સરસ્વતી અને કાન નદીમાં પડતું ગંદુ પાણી ખૂબ ઘટ્યું છે. 

તમિલનાડુમાં કચરામાંથી ઉર્જાનું ઉત્પાદન

વડાપ્રધાને જણાવ્યું કે, તમિલનાડુના શિવગંગા જિલ્લાની કાજિરંગા પંચાયતે વેસ્ટમાંથી વેલ્થના મોડલનું ઉદાહરણ રજૂ કર્યું છે. ત્યાંની પંચાયતે સ્થાનિક લોકો સાથે કચરામાંથી વીજળી બનાવવાનો એક લોકલ પ્રોજેક્ટ પોતાના ગામમાં લગાવ્યો છે. આખા ગામમાંથી કચરો એકત્રિત થાય છે અને તેમાંથી વીજળી બને છે. બાદમાં વધેલી પ્રોડક્ટ્સને કીટનાશક તરીકે વેચી દેવામાં આવે છે. તે આપણા દેશવાસીઓને પ્રેરણા આપે છે. 

સંસ્કૃત ભાષાનો પ્રચાર-પ્રસાર કરનારાઓની પ્રશંસા

આપણી સંસ્કૃત ભાષા સરસ પણ છે અને સરળ પણ છે. સંસ્કૃત પોતાના વિચારો, પોતાના સાહિત્યના માધ્યમથી આ જ્ઞાન વિજ્ઞાન અને રાષ્ટ્રની એકતાનું પણ પોષણ કરે છે. તેને મજબૂત બનાવે છે. સંસ્કૃત સાહિત્યમાં માનવતા અને જ્ઞાનનું એવું જ દિવ્ય દર્શન છે જે કોઈને પણ આકર્ષિત કરી શકે છે. આપણા વારસાને બચાવવો અને તેને ભાવિ પેઢીઓને જણાવવો તે આપણું કર્તવ્ય છે. 

Share: