×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

મણિપુરમાં હિંસા યથાવત્ : 3 દિવસથી ચાલી રહેલા ગોળીબારમાં 5ના મોત, 18 ઈજાગ્રસ્ત

ઈમ્ફાલ, તા.31 ઓગસ્ટ-2023, ગુરુવાર

ત્રણ મહિના વિતવા છતાં હજુ પણ મણિપુરમાં હિંસા અટકવાનું નામ લેતી નથી... ત્યારે બિષ્ણુપુર અને ચુરાચાંદપુર જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી કુકી અને મૈતેઈ સમુદાય વચ્ચે ગોળીબારની ઘટનામાં ઓછામાં ઓછા 5 લોકોના મોત થયા છે, જ્યારે 18 લોકો ઈજાગ્રસ્ત થયા છે. અધિકારીઓએ જણાવ્યું કે, બિષ્ણુપુર જિલ્લાના ખોઈરેંટકના તલહટી અને ચુરાચાંદપુર જિલ્લાના ચિંગફેઈ અને ખૌસાબુંગ વિસ્તારમાં હજુ પણ ફાયરિંગ ચાલુ છે. 29 ઓગસ્ટે ભારે ગોળીબારમાં 30 વર્ષના ગ્રામીણ સ્વયંસેવકનું મોત થયા બાદ ત્યારથી આ ગોળીબારની ઘટના ચાલી રહી છે.

આજે વધુ એક ઈજાગ્રસ્ત વ્યક્તનું મોત

અધિકારીઓએ જણાવ્યું કે, બુધવારે સાંજે થોડા કલાકો સુધી શાંતિ રહી હતી, જોકે ત્યારબાદ ગુરુવારે સવારે ફરી બંને સમુદાયો વચ્ચે ગોળીબાર શરૂ થઈ ગયો... ગઈકાલે હિંસામાં ઈજાગ્રસ્ત વ્યક્તિનું ગુવાહાટી જતા સમયે મોત થયું હતું. જ્યારે અન્ય એક ઈજાગ્રસ્તનું આજે સવારે ચુરાચાંદપુર જિલ્લાની હોસ્પિટલમાં મોત થયું...

5 લોકોને છરા વાગતા ઈજાગ્રસ્ત

અધિકારીઓના જણાવ્યા મુજબ ગઈકાલે સાંજે ચિંગફેઈ વિસ્તારમાં 5 લોકોને છરા વાગતા ઈજાગ્રસ્ત થયા, જેમાંથી ત્રણને ચુરાચાંદપુર જિલ્લા હોસ્પિટલ ખસેડાયા હતા... એક વ્યક્તિે માથામાં છરો વાગ્યો હતો, જ્યારે અન્ય એકને ખભા, પગ અને પીઠમાં ઈજા થઈ હતી. આ અગાઉ મંગળવારે બિષ્ણુપુર અને નારાયણસેના ગામ પાસે હિંસાની જુદી જુદી ઘટનાઓમાં 2 લોકોના મોત થયા અને 6 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. સૂત્રો મુજબ એક વ્યક્તિને ગોળી વાગતા મોત થયું, જ્યારે અન્ય એક વ્યક્તિને તેની જ દેશી બંદૂકની ગોળી વાગતા મોત થયું હતું.

સુરક્ષામાં તૈનાત સ્વયંસેવકનું મોત

પોલીસે જણાવ્યું કે, મંગળવારે ફાયરિંગની ઘટનામાં ગામની સુરક્ષામાં તૈનાત એક સ્વયંસેવકનું મોત થયું હતું. તેઓ રાહત કેમ્પમાં રહેતા હતા... ત્યાં અચાનક બોંબ ફૂટ્યો હતો... હાલ અહીં સુરક્ષા દળો સહિત પોલીસ જવાનોનો કાફલો ખડકી દેવાયો છે... મામલો થાળે પાડવાના પણ તમામ પ્રયાસો થઈ રહ્યા છે... 

4 આતંકવાદી પકડાયા, હથિયારો-દારુગોળો મળ્યો

આવી ઘટનાઓને રોકવા માટે સુરક્ષા દળ સતત પેટ્રોલિંગ કરી રહી છે. મંગળવારે 4 આતંકવાદીઓને પકડી લેવાયા છે. આ આતંકવાદીઓ જુદા જુદા સંગઠનના હોવાનું સામે આવ્યું હતું. પોલીસે આ આતંકીઓ પાસેથી હથિયારો અને દારુગોળો જપ્ત કર્યો હતો, જેમાં 6 હથિયારો, 5 કાર્ટેજ અને 2 વિસ્ફોટક સામેલ છે. પકડાયેલા આતંકવાદીઓ NSCN (આઈએમ) અને પીપુલ્સ લિબરેસન પાર્ટી (પીએલએ) વગેરે સંગઠનો સાથે સંકળાયેલા છે. આ લોકોને ઈમ્ફાલ પૂર્વ અને બિષ્ણુપુર જિલ્લામાંથી પકડવામાં આવ્યા હતા. સુરક્ષા દળો દ્વારા હજુ પણ અન્ય જિલ્લાઓમાં પણ શોધખોળ અભિયાન ચલાવાઈ રહ્યું છે.

મણિપુર હિંસામાં અત્યાર સુધીમાં 6500થી વધુ પોલીસ કેસ

ઉલ્લેખનિય છે કે, કુકી અને મૈતેઈ સમુદાય વચ્ચે ભડકેલી હિંસાથી માત્ર મણિપુરમાં જ નહીં આખા દેશમાં ખળભળાટ મચ્યો છે. આ હિંસામાં અત્યાર સુધીમાં 160થી વધુ લોકોના મોત થયા છે, જ્યારે 50 હજારથી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. તો ઘણા લોકો બેઘર થયા હોવાથી પડોશી રાજ્યમાં આશ્રય લેવા મજબુર બન્યા છે. હિંસા મામલે અત્યાર સુધીમાં 6500થી વધુ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે.

શું છે મણિપુર વિવાદ ?

મણિપુરમાં અનુસૂચિત જનજાતિ (એસટી)નો દરજ્જો આપવાની મેઈતી સમુદાયની માંગના વિરોધમાં ત્રીજી મેએ પર્વતીય જિલ્લાઓમાં આદિવાસી એકજુટતા માર્ચનું આયોજન કરાયા બાદ હિંસક ઘટનાઓ શરૂ થઈ હતી. ત્યારથી અત્યાર સુધીમાં હિંસામાં ઓછામાં ઓછા 152 લોકોના મોત થયા છે. મણિપુરમાં મેઈતી સમુદાયની 53 ટકા વસ્તી છે અને તેઓ મુખ્યરૂપે ઈમ્ફાલ ખીણમાં રહે છે, જ્યારે નગા અને કુકી જેવા આદિવાસી સમુદાયોની વસ્તી 40 ટકા છે અને તેઓ મુખ્યત્વે પર્વતીય જિલ્લાઓમાં રહે છે.