મણિપુરમાં મહિલાઓની નગ્ન પરેડ અને સતામણી મામલે અત્યાર સુધી 4 આરોપીઓની કરાઈ ધરપકડ

મણિપુરમાં મહિલાઓની નગ્ન પરેડ અને સતામણી મામલે અત્યાર સુધી 4 આરોપીઓની કરાઈ ધરપકડ

image : Twitter

મણિપુરમાં મહિલાઓની નગ્ન પરેડનો વીડિયો વાયરલ થયા બાદ આ મામલે અત્યાર સુધીમાં કુલ ચાર આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી હતી. રાજ્યના મુખ્યમંત્રી એન.બિરેન સિંહે કહ્યું કે આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. એક પછી એક ચાર આરોપીઓને પકડી લેવાયા છે. 

મૃત્યુદંડની માગ કરાશે 

મણિપુરના મુખ્યમંત્રી એન.બિરેન સિંહે કહ્યું કે અમે સંપૂર્ણપણે હેરાન છીએ. દોષિતોને કડક સજા અપાવવાનું આશ્વાસન આપું છું. સંભવ હશે તો મૃત્યુદંડની માગ કરીશ. હું લોકોને અપીલ કરું છું કે માર્ગો પર ચક્કાજામ ન કરે અને સુરક્ષાદળોની કાર્યવાહી ન રોકે. હું રાજ્યની પ્રજા વતી આ ઘટનાની આકરી ટીકા કરું છું.  

PM મોદીએ દુઃખ વ્યક્ત કર્યું હતું

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ ઘટના પર દુખ વ્યક્ત કર્યું હતું. તેમણે કહ્યું કે મણિપુરમાં દીકરીઓ સાથે જે થયું છે તેને માફ કરી શકાય નહીં. પીએમએ કહ્યું કે મણિપુરમાં બનેલી ઘટનાથી મારું હૃદય દુઃખ અને ગુસ્સાથી ભરાઈ ગયું છે. આ ઘટનાથી સમગ્ર દેશની જનતાએ શરમ અનુભવવી પડી છે. હું લોકોને ખાતરી આપવા માંગુ છું કે કોઈ પણ દોષિતને બક્ષવામાં આવશે નહીં.

સુપ્રીમ કોર્ટે સવાલ ઉઠાવ્યો હતો

આ મામલે ઈન્ડીજીનસ ટ્રાઈબલ લીડર ફોરમએ કેન્દ્ર અને રાજ્ય સરકારને સંજ્ઞાન લેવા વિનંતી કરી છે. આ સાથે જ સુપ્રીમ કોર્ટે આ મામલે કેન્દ્ર અને રાજ્ય સરકારને પણ સવાલો કર્યા છે. CJIએ કહ્યું છે કે આવી ઘટનાને સહન કરવામાં આવશે નહીં.

Share: