ભારત વિરુદ્ધ કાવતરું! કેનેડા બાદ લંડનમાં ખાલિસ્તાન સમર્થકોની રેલી, ભારતીય ડિપ્લોમેટને કરાયા ટારગેટ

ભારત વિરુદ્ધ કાવતરું! કેનેડા બાદ લંડનમાં ખાલિસ્તાન સમર્થકોની રેલી, ભારતીય ડિપ્લોમેટને કરાયા ટારગેટ

image : Representative  Only 

સાન ફ્રાન્સિસ્કોમાં ભારતીય વાણિજ્ય દૂતાવાસમાં આગચંપી અને હોબાળા બાદ હવે કેનેડા અને લંડનમાં મોટા પ્રદર્શનની તૈયારીઓ કરવામાં આવી રહી છે. ખાલિસ્તાન સમર્થકોએ 8 જુલાઈએ ‘કિલ ઈન્ડિયા’ નામની રેલી બોલાવી છે, જેમાં ભારતીય રાજદ્વારીઓ અને ભારત વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કરવામાં આવશે. આ માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, ટ્વિટર પર લંડનમાં રેલીનું પોસ્ટર જોવા મળ્યું છે. કેટલાક અનામી ટ્વિટર હેન્ડલ્સ દ્વારા આ પોસ્ટરને લોકો સુધી પહોંચાડવાનું કામ કરવામાં આવી રહ્યું હતું.

હરદીપ સિંહ નિજ્જરની હત્યાનો ઉલ્લેખ

હકીકતમાં ખાલિસ્તાન ટાઈગર ફોર્સના મોટા આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની કેનેડામાં ગુરુદ્વારાની બહાર થોડા દિવસો પહેલા ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. હવે ખાલિસ્તાન સમર્થકોનો આરોપ છે કે આ હત્યા ભારત દ્વારા કરવામાં આવી છે. અહેવાલ અનુસાર લંડનમાં ઓનલાઈન વાયરલ થઈ રહેલા પોસ્ટરમાં પણ આ જ લખવામાં આવ્યું છે, જેમાં લોકોને ભારતીય દૂતાવાસની બહાર એકઠા થવાની અપીલ કરવામાં આવી છે. પોસ્ટરમાં બ્રિટનમાં ભારતીય હાઈ કમિશનર વિક્રમ દોરાઈસ્વામી અને બર્મિંગહામમાં ભારતના કોન્સ્યુલ જનરલ ડૉ. શશાંક વિક્રમની તસવીરો છે. તસવીરોમાં તેમને હત્યારા તરીકે રજૂ કરવામાં આવ્યા છે.

વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે

અન્ય એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં અમેરિકા સ્થિત શીખ્સ ફોર જસ્ટિસના જનરલ કાઉન્સેલ ગુરપતવંત સિંહ પન્નુ કેમેરા પર દાવો કરી રહ્યો છે કે વૈશ્વિક શીખ સમુદાય પંજાબને આઝાદ કરવા માટે શાંતિપૂર્ણ અને લોકશાહી પ્રક્રિયા બનાવી રહ્યો છે. તેણે દાવો કર્યો છે કે દરેક ભારતીય રાજદ્વારી, પછી તે બ્રિટન, અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા કે યુરોપિયન દેશોમાં હોય, નિજ્જરની હત્યા માટે જવાબદાર છે.

Share: