ભારત બાદ ચીન પર કુદરતનો પ્રકોપ! ભૂસ્ખલનના કારણે 21 લોકોના મોત, 900 ઘરોમાં અંધારપટ

ભારત બાદ ચીન પર કુદરતનો પ્રકોપ! ભૂસ્ખલનના કારણે 21 લોકોના મોત, 900 ઘરોમાં અંધારપટ

આજે ભારતના હિમાચલ પ્રદેશ સહીત ઉતરાખંડ રાજ્યમાં વરસાદે ભારે તારાજી સર્જી હતી. હવે ભારત બાદ ચીન પર પણ કુદરતનો પ્રકોપ યથાવત છે. ચીનના શિયાન પ્રાંતમાં ભારે વરસાદને કારણે ભૂસ્ખલન થયાના સમાચાર મળી રહ્યા છે. આ ઘટનામાં 21 લોકોના મોત થયા હતા અને 6 લોકો ગુમ થયા હતા. સ્થાનિક મીડિયા અનુસાર, ભૂસ્ખલન અને પૂરમાં એક હાઇવેને પણ ભારે નુકસાન થયું હતું અને શહેરમાં લગભગ 900 ઘરો વીજળી વગરના બન્યા હતા. ચીનની સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ અનુસાર જુલાઈમાં પૂર અને ભૂસ્ખલનના કારણે 142 લોકોએ જીવ ગુમાવ્યા છે અને 980 લોકો લાપતા બન્યા હતા. 

વાવાઝોડાને કારણે ચીનમાં પૂર અને ભૂસ્ખલન

ખાનુન વાવાઝોડાને કારણે ચીનમાં પૂર અને ભૂસ્ખલનની ઘટનાઓ બની રહી છે. આ વાવાઝોડાને કારણે અગાઉ દક્ષિણ કોરિયા અને જાપાનમાં પણ નુકસાન થયું હતું. હવે આ વાવાઝોડું ચીનમાં નબળું પડી ગયું છે. ચીનમાં ખાનુન વાવાઝોડા પહેલા ડોકસુરી વાવાઝોડાએ તબાહી મચાવી હતી. 

અત્યાર સુધીમાં 1 લાખથી વધુ લોકોનો બચાવ

ચીનમાં છેલ્લા 70 વર્ષનો વરસાદનો રેકોર્ડ તૂટી ગયો છે. રાજધાની બેઇજિંગમાં સૌથી વધુ 257.9 મીમી વરસાદ નોંધાયો હતો. અગાઉ 1951માં આટલો ભારે વરસાદ પડ્યો હતો. ભારે વરસાદને કારણે બચાવકર્મીઓએ અત્યાર સુધીમાં 1 લાખથી વધુ લોકોને બચાવીને સલામત સ્થળે મોકલી દીધા છે.

Share: