ભારત અને રશિયા વચ્ચે 'AK-203 રાઈફલ' સોદા પર વાગી મહોર, બંને દેશના સંરક્ષણ મંત્રીઓએ કર્યા હસ્તાક્ષર

ભારત અને રશિયા વચ્ચે 'AK-203 રાઈફલ' સોદા પર વાગી મહોર, બંને દેશના સંરક્ષણ મંત્રીઓએ કર્યા હસ્તાક્ષર


– આપણા દેશોના સંબંધ માટે આ સમયે સૈન્ય અને તકનીકી ક્ષેત્રમાં ભારત-રૂસનો સહયોગ વિશેષરૂપે મહત્વપૂર્ણઃ શોઈગુ

નવી દિલ્હી, તા. 06 ડિસેમ્બર, 2021, સોમવાર

રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન આજે એટલે કે, 06 ડિસેમ્બરના રોજ ભારતની મુલાકાત લેવાના છે. પુતિન પહોંચે તે પહેલા જ રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવ અને સંરક્ષણ મંત્રી સર્ગેઈ શોઈગુ પણ ભારત પહોંચી ચુક્યા છે. બંને મંત્રીઓએ પોતાના સમકક્ષ ડો. એસ જયશંકર અને રાજનાથ સિંહની મુલાકાત લીધી હતી. આ મુલાકાત બાદ હવે બેઠકોનો દોર ચાલુ થઈ ગયો છે. 

અસોલ્ટ રાઈફલ AK-203ના સોદા પર મહોર

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને રશિયાના સંરક્ષણ મંત્રી સર્ગેઈ શોઈગુ વચ્ચે આજે નવી દિલ્હી ખાતે બેઠક યોજાઈ હતી. આ દરમિયાન બંને નેતાઓએ ભારત અને રશિયા વચ્ચે થયેલી સમજૂતીઓ પર હસ્તાક્ષર કર્યા હતા. તે અંતર્ગત ભારત-રૂસ રાઈફલ્સ પ્રાઈવેટ લિમિટેડના માધ્યમથી 6,01,427 જેટલી 7.63×39 મિમી અસોલ્ટ રાઈફલ AK-203ની ખરીદી માટે કરાર, 2021-2031થી સૈન્ય-તકનીકી સહયોગ માટે કાર્યક્રમ જેવી સમજૂતી પર હસ્તાક્ષર કરવામાં આવ્યા. 

આ બેઠક દરમિયાન સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે જણાવ્યું કે, ઉભરતી ભૂ-રાજકીય પરિસ્થિતિઓમાં આજે વાર્ષિક ભારત-રૂસ શિખર સંમેલન ફરી એક વખત આપણા દેશો વચ્ચે વિશેષ વ્યૂહાત્મક ભાગીદારીના મહત્વપૂર્ણ મહત્વની પૃષ્ટિ કરે છે. રાજનાથ સિંહે જણાવ્યું કે, સંરક્ષણ સહયોગ આપણી ભાગીદારીના સૌથી મહત્વપૂર્ણ સ્તંભોમાંથી એક છે. મને આશા છે કે, ભારત-રૂસ ભાગીદારી સમગ્ર ક્ષેત્રમાં શાંતિ લાવશે અને ક્ષેત્રને સ્થિરતા પ્રદાન કરશે. વધુમાં જણાવ્યું કે, ભારત અને રશિયાના સંબંધ બહુપક્ષવાદ, વૈશ્વિક શાંતિ, સમૃદ્ધિ, આંતરિક સમજણ અને વિશ્વાસમાં એક સામાન્ય હિતના આધાર પર આધારીત છે.

શોઈગુનું નિવેદન

બેઠક દરમિયાન રશિયાના સંરક્ષણ મંત્રી સર્ગેઈ શોઈગુએ જણાવ્યું કે, આપણા દેશોના સંબંધ માટે આ સમયે સૈન્ય અને તકનીકી ક્ષેત્રમાં ભારત-રૂસનો સહયોગ વિશેષરૂપે મહત્વપૂર્ણ છે. 

Share: