બોધગયા ખાતે કોરોનાની અસર, બૌદ્ધ ભિક્ષુઓને પડી ભોજનની મુશ્કેલી

બોધગયા ખાતે કોરોનાની અસર, બૌદ્ધ ભિક્ષુઓને પડી ભોજનની મુશ્કેલી


– સંકટના આ સમયે વિયેતનામ બૌદ્ધ ભિક્ષુકોની મદદ માટે આગળ આવ્યું 

નવી દિલ્હી, તા. 20 ડિસેમ્બર, 2021, સોમવાર

બિહારની જ્ઞાનનગરી બોધગયા ખાતે કોરોના મહામારીની ખૂબ જ ખરાબ અસર પડી છે. ત્યાં પર્યટકોની સંખ્યામાં ઘટાડો થવાના કારણે બૌદ્ધ ભિક્ષુકોની જિંદગી ખરાબ રીતે પ્રભાવિત થઈ છે. પરિસ્થિતિ એ હદે વણસી ગઈ છે કે, બૌદ્ધ ભિક્ષુકોને ભોજન પણ નથી મળી રહ્યું. જોકે, સંકટના આ સમયે વિયેતનામ બૌદ્ધ ભિક્ષુકોની મદદ માટે આગળ આવ્યું છે. 

કોરોના મહામારીના કારણે 14 મહિનાથી બોધગયા ખાતે પહેલા જેટલી સંખ્યામાં પર્યટકો નથી આવી રહ્યા. તેવામાં ત્યાં રહેતા બૌદ્ધ શ્રદ્ધાળુઓના ભોજન પર પણ અસર પડી છે. જોકે, વિયેતનામની મદદથી ત્યાંના યુવકો તે બૌદ્ધ ભિક્ષુકોને ભોજન કરાવી રહ્યા છે. 

હકીકતે કોરોના મહામારીના કારણે ભગવાન બુદ્ધની જ્ઞાનસ્થળી બોધગયામાં સન્નાટો વ્યાપેલો છે. આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ પર પ્રતિબંધ હોવાના કારણે બોધગયામાં વિદેશી પર્યટકો આવતા બંધ થઈ ગયા છે.

તાજેતરમાં જ્યારે સ્થિતિમાં થોડો સુધારો આવ્યો અને લોકડાઉન હટાવવામાં આવ્યું તો ઘરેલુ પર્યટકો ત્યાં આવતા થયા પરંતુ તેમની સંખ્યા હજુ પણ ઓછી જ છે. તે સ્થળે અનેક દિવસો સુધી ચાલતા ધાર્મિક આયોજનો પણ બંધ છે. તેવામાં ત્યાં રહેતા બૌદ્ધ ભિક્ષુકોને ભોજનની મુશ્કેલી પડી રહી છે. જોકે વિયેતનામની મદદથી ભિક્ષુકોને ભોજન કરાવવામાં આવી રહ્યું છે. વિયેતનામ તરફથી મળી રહેલી આર્થિક મદદ વડે બોધગયાના યુવકો બૌદ્ધ ભિક્ષુકોને ભોજન કરાવી રહ્યા છે અને આ સિલસિલો છેલ્લા 14 મહિનાથી ચાલુ છે. 

વિયેતનામનું સંસદીય પ્રતિનિધિમંડળ ભારત પ્રવાસે છે. વિયેતનામની નેશનલ એસેમ્બલીના અધ્યક્ષ વુઓંગ દિન્હ હ્યૂના નેતૃત્વમાં આવેલા પ્રતિનિધિમંડળે રવિવારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની મુલાકાત લીધી હતી. ત્યાર બાદ રાષ્ટ્રપતિ કોવિંદે કહ્યું કે, કોરોના મહામારી છતાં ભારત અને વિયેતનામના આર્થિક સંબંધોએ સકારાત્મક દિશા બનાવી રાખી. તે સિવાય રાષ્ટ્રપતિએ બંને દેશ વચ્ચે વધી રહેલા સંરક્ષણ સહયોગ મામલે પણ આનંદ વ્યક્ત કર્યો હતો. 

Share: