બેંગ્લુરુમાં મોટા આતંકી હુમલાનું કાવતરું નિષ્ફળ, 5 શંકાસ્પદ આતંકીઓની કરાઈ ધરપકડ

બેંગ્લુરુમાં મોટા આતંકી હુમલાનું કાવતરું નિષ્ફળ, 5 શંકાસ્પદ આતંકીઓની કરાઈ ધરપકડ
Image:Representative image

બેંગલુરુમાં પોલીસે પાંચ શંકાસ્પદ આતંકવાદીઓની ધરપકડ કરી છે. સેન્ટ્રલ ક્રાઈમ બ્રાન્ચે દેશવિરોધી ગતિવિધિઓમાં સંડોવણીની શંકાના આધારે આ ધરપકડ કરી છે. સીસીબીએ સેન્ટ્રલ ઈન્ટેલિજન્સ વિભાગ સાથે સંયુક્ત ઓપરેશનમાં પાંચ શકમંદોની ધરપકડ કરી છે. તેમની પાસેથી વિસ્ફોટક સામગ્રી પણ મળી આવી છે.

શંકાસ્પદ આતંકવાદીઓ વર્ષ 2017માં હત્યાના કેસમાં આરોપી હતા

CCBએ CID સાથે મળીને સંયુક્ત ઓપરેશનમાં જુનૈદ, સોહેલ, ઉમર સહિત 5 શકમંદોની ધરપકડ કરી હતી. તેમની પાસેથી મોબાઈલ ફોન મળી આવ્યો હતો જેને તેમનાં સામાન સહિત જપ્ત કરવામાં આવ્યો છે. હાલ CCB માદીવાલા ટેકનિકલ સેલમાં તમામ શંકાસ્પદ આતંકવાદીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે. તેમને શંકા છે કે આ શકમંદો સાથે વધુ 2 શંકાસ્પદ લોકો જોડાયેલા છે. તપાસ એજન્સીને શંકા છે કે આ શકમંદોએ બેંગલુરુમાં વિસ્ફોટ કરવાની યોજના બનાવી હતી. આ પાંચ શકમંદો વર્ષ 2017માં હત્યાના કેસમાં આરોપી હતા અને તેઓ પરપ્પના અગ્રાહરા સેન્ટ્રલ જેલમાં બંધ હતા, જે દરમિયાન તેઓ આતંકવાદીઓના સંપર્કમાં આવ્યા હતા.

બેંગલુરુના રહેવાસી છે તમામ શકમંદો

પોલીસના જણાવ્યા અનુસાર ધરપકડ કરાયેલા તમામ શકમંદો બેંગલુરુના રહેવાસી છે. તે આતંકવાદીઓના સંપર્કમાં હતા અને તેમની પાસે આતંકવાદી ગતિવિધિઓની વિગતવાર માહિતી હતી. તેમણે વિસ્ફોટક સહિતની ઘણી ટેકનિકલ તાલીમ લીધી હતી. તમામ શકમંદો એક ટીમ તરીકે કામ કરી રહ્યા હતા. શકમંદોએ બેંગલુરુમાં થયેલા વિસ્ફોટની માહિતી પણ આપી છે.

Share: