×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

બિહારઃ ઓવૈસીના ધારાસભ્યોએ વંદે માતરમ ન ગાયું, અખ્તરૂલ ઈમાને આપ્યું આવું કારણ


- જેને રાષ્ટ્રીય ગીત ગાવું છે તે ગાય. પરંતુ મારો સવાલ એ છે કે, શું બંધારણમાં રાષ્ટ્રીય ગીત ગાવું ફરજિયાત છે?: ઈમાન

નવી દિલ્હી, તા. 04 ડિસેમ્બર, 2021, શનિવાર

હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીન (AIMIM)ના ધારાસભ્યોએ બિહાર વિધાનસભામાં નવો બખેડો ઉભો કર્યો છે. ઓવૈસીની પાર્ટીના પાંચેય ધારાસભ્યોએ શુક્રવારે વિધાનસભામાં રાષ્ટ્રગીત વંદે માતરમ ગાવાની ના પાડી દીધી હતી. એટલું જ નહીં, ધારાસભ્યોએ એમ પણ કહ્યું કે, સ્પીકર બળજબરીથી રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાન ગાવાની પરંપરા થોપી રહ્યા છે. 

હકીકતે આ વખતે શીતકાલીન સત્ર દરમિયાન બિહાર વિધાનસભાના સ્પીકર વિજય કુમાર સિન્હાએ સત્રના પહેલા દિવસે રાષ્ટ્રગાન (જન-ગણ-મન) અને અંતિમ દિવસે રાષ્ટ્રગીત (વંદે માતરમ) ગાવાની પરંપરા શરૂ કરી છે. શીતકાલીન સત્રના અંતિમ દિવસે જ્યારે રાષ્ટ્રગીત ગાવામાં આવી રહ્યું હતું ત્યારે ઓવૈસીની પાર્ટીના પાંચેય ધારાસભ્યોએ રાષ્ટ્રગીત ગાવાની ના પાડી દીધી હતી. 

શીતકાલીન સત્રના સમાપન બાદ AIMIMના બિહાર પ્રદેશ અધ્યક્ષ અને ધારાસભ્ય અખ્તરૂલ ઈમાન વિધાનસભા સ્પીકર વિજય કુમાર સિન્હા પર બરાબરના વરસ્યા હતા અને રાષ્ટ્રીય ગાન અને રાષ્ટ્રગીતની નવી પરંપરા થોપવાનો આરોપ લગાવ્યો હતો. આ સાથે જ ઈમાને એવી દલીલ કરી હતી કે, બંધારણમાં ક્યાંય પણ નથી લખ્યું કે, રાષ્ટ્રગીત ગાવું ફરજિયાત છે. 

વધુમાં ઈમાને કહ્યું કે, 'જેને રાષ્ટ્રીય ગીત ગાવું છે તે ગાય. પરંતુ મારો સવાલ એ છે કે, શું બંધારણમાં રાષ્ટ્રીય ગીત ગાવું ફરજિયાત છે? રાષ્ટ્રીય ગીત ગાવું ઓપ્શનલ છે. અમારા માટે રાષ્ટ્રીય ગીત ગાવું જરૂરી નથી.'

ઓવૈસીની પાર્ટીના પાંચેય ધારાસભ્યોએ જે રીતે વિધાનસભામાં રાષ્ટ્રીય ગીત ગાવાની ના પાડી દીધી તેને લઈ ભવિષ્યમાં નવો રાજકીય વિવાદ સર્જાવાનું નિશ્ચિત જણાઈ રહ્યું છે.