બાગેશ્વર ધામના ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી અંગે બાબા રામદેવે આપ્યું મોટું નિવેદન

બાગેશ્વર ધામના ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી અંગે બાબા રામદેવે આપ્યું મોટું નિવેદન

નવી દિલ્હી, તા.20 જાન્યુઆરી-2023, શુક્રવાર

બાગેશ્વર ધામના પીઠાધીશ્વર પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી હાલના દિવસોમાં વિવાદોમાં છે. પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી પર અંધશ્રદ્ધા ફેલાવવાનો આરોપ છે. હવે સ્વામી રામદેવ પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના સમર્થનમાં ઉતરી પડ્યા છે.

બાબા રામદેવે ધીરેન્દ્ર શાસ્ત્રીનું કર્યું સમર્થન

બાબા રામદેવે કહ્યું છે કે, કેટલાક ઢોંગી લોકો ધીરેન્દ્ર શાસ્ત્રી પર તૂટી પડ્યા છે અને પૂછે છે કે બાલાજીની કૃપા શું છે, હનુમાનજીની કૃપા શું છે? જેને બહારની આંખોથી જોવું હોય, તે લોકો ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીને પૂછે, પરંતુ જે લોકોએ દલીલ કરવી હોય તેઓ રામભદ્રાચાર્યજી પાસે આવી જાવ અને ચમત્કાર જોવો હોય તો તેમના શિષ્ય ધીરેન્દ્ર શાસ્ત્રી પાસે જતા રહો…

રામદેવે મીડિયાને કહ્યું, તમે સનાતનને આગળ વધારવાનું કામ કરો

બાબા રામદેવે વધુમાં જણાવ્યું કે, હું મીડિયાના લોકોને બહુ ફોન નથી કરતો, પરંતુ કહેવા માંગુ છું કે દરેક જગ્યાએ પાખંડ ન શોધો, આ સત્ય છે, જે દેખાય છે અને જે આંખોથી દેખાઈ રહ્યું છે તે એક ટકા છે. તમે લોકો સનાતનને આગળ વધારવાનું કામ કરો.

ચાદર ચઢાવવી, મીણબત્તીઓ પ્રગટાવવી શ્રદ્ધાની વાત છે, પરંતુ…

અગાઉ ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ પણ કહ્યું હતું કે, ભારતમાં ચાદર ચઢાવવી અને મીણબત્તી પ્રગટાવવી એ આસ્થા છે, પરંતુ માનતાનું નાળિયેર બાંધવું અંધશ્રદ્ધા છે. ખબર નહીં લોકોમાં આવી કપટવૃત્તિ ક્યાંથી આવે છે. તેમણે કહ્યું કે દેશમાં હિંદુ બાબાઓ વિરુદ્ધ વિશેષ અભિયાન ચલાવાઈ રહ્યું છે, જેના કારણે તેમને પણ નિશાન બનાવાઈ રહ્યા છે, પરંતુ તેઓ તેનાથી ડરતા નથી.

ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી પરના આરોપ

ઉલ્લેખનિય છે કે, મહારાષ્ટ્રના નાગપુરમાં શ્રીરામના ચરિત્ર-ચર્ચાનું આયોજન કરાયું હતું, જેમાં ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીનો દરબાર યોજાયો હતો. આ દરમિયાન અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિ દ્વારા ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી પર મેલીવિદ્યા અને અંધશ્રદ્ધા ફેલાવવાનો આરોપ લગાવાયો હતો. ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી પર દિવ્ય દરબાર અને પ્રેત દરબારની આડમાં મેલીવિદ્યાને પ્રોત્સાહન આપવાનો આરોપ હતો, ત્યારથી આ અંગેનો વિવાદ ચાલી રહ્યો છે.

Share: