બકરીઈદ નિમિત્તે લોકડાઉનમાં ઢીલ, કેરાલા સરકારની સુપ્રીમ કોર્ટે કાઢી આકરી ઝાટકણી

બકરીઈદ નિમિત્તે લોકડાઉનમાં ઢીલ,  કેરાલા સરકારની સુપ્રીમ કોર્ટે કાઢી આકરી ઝાટકણી

નવી દિલ્હી,તા.20 જુલાઈ 2021,મંગળવાર

કેરાલામાં વધી રહેલા કોરોનાના કેસ વચ્ચે બકરી ઈદના તહેવાર નિમિત્તે લોકડાઉનમાં ઢીલ આપવાના કેરાલા સરકારના નિર્ણયની સુપ્રીમ કોર્ટે ઝાટકણી કાઢી છે.

સુપ્રીમ કોર્ટે નારાજગી વ્યક્ત કરતા કહ્યુ હતુ કે, અફસોસની વાત છે કે, રાજ્ય સરકાર વેપારી સંગઠનોના દબાણમાં આવી ગઈ છે અને એ વિસ્તારમાં પણ દુકાનો ખોલવાની મંજૂરી આપી છે જ્યાં કોરોનાનો દર 15 ટકા વધારે છે. અહીંયા પણ લોકોના જીવ ખતરામાં પડી ગયા છે.

કેરાલા સરકારે આપેલી છુટ દેશમાં ચર્ચાનો વિષય બની છે ત્યારે સુપ્રીમ કોર્ટે કહ્યુ હતુ કે આ મામલામાં કેરાલા સરકારે જે પ્રકારનુ સોગંદનામુ કર્યુ છે તે ચિંતાજનક છે. સરકારે બકરી ઈદ નિમિત્તે આ પ્રકારની છૂટ આપીને નાગરિકો માટે રાષ્ટ્રીય સ્તરે જોખમ વધારી દીધુ છે.

જોકે કોર્ટે ઝાટકણી કાઢ્યા પછી પણ કેરલા સરકાર દ્વારા લોકડાઉનમાં ઢીલ આપવાના આદેશને રદ કરવા માટે કોઈ સૂચના આપી નથી. લોકડાઉનમાં ઢીલનો આજે આખરી દિવસ છે.

Share: