બંગાળઃ બિકાનેર રેલ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 9ના મોત, 45 ઘાયલ, ટ્રેનમાં સવાર હતા 1,053 મુસાફરો

બંગાળઃ બિકાનેર રેલ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 9ના મોત, 45 ઘાયલ, ટ્રેનમાં સવાર હતા 1,053 મુસાફરો


– રેલવેએ મૃતકોના પરિવારજનોને 5 લાખ રૂપિયાની, ગંભીર રીતે ઘવાયેલા લોકોને 1 લાખ રૂપિયાની અને ઘાયલોને 25,000 રૂપિયાની સહાયની જાહેરાત કરી

નવી દિલ્હી, તા. 14 જાન્યુઆરી, 2022, શુક્રવાર

પશ્ચિમ બંગાળમાં બિકાનેર-ગુવાહાટી એક્સપ્રેસ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 9 લોકોના મોત થયા છે અને 45 લોકો ઘાયલ થયા છે. પશ્ચિમ બંગાળના જલપાઈગુડી ખાતે ગુરૂવારે બિકાનેર-ગુવાહાટી એક્સપ્રેસના 12 કોચ પાટા પરથી ઉતરી ગયા હતા. તેમાંથી કેટલાક પલટી પણ ગયા હતા.

પૂર્વોત્તર સીમાંત રેલવેના પ્રવક્તાના કહેવા પ્રમાણે આ દુર્ઘટના સાંજે 5:00 કલાકે અલીપુરદ્વાર મંડલ ખાતે થઈ હતી. જલપાઈગુડી જિલ્લાધિકારી મૌમિતા ગોદારા બસુના કહેવા પ્રમાણે અત્યાર સુધીમાં આ દુર્ઘટનામાં 8 લોકોના મોત થયા છે. તેમાં 5 લોકોના મૃતદેહ મળી આવ્યા હતા જ્યારે બાકીનાઓએ હોસ્પિટલમાં દમ તોડ્યો હતો.

તેમના કહેવા પ્રમાણે 45 લોકો ઘાયલ છે અને તેમાંથી કેટલાક લોકોની સ્થિતિ ગંભીર છે માટે મૃતકઆંક હજુ પણ ઉંચો જઈ શકે છે. રેલવેના અહેવાલ પ્રમાણે રેસ્ક્યુ અભિયાન પૂરૂ થઈ ચુક્યુ છે અને આ મામલે તપાસના આદેશ આપી દેવાયા છે. 

દુર્ઘટના સમયે ટ્રેનમાં 1,053 મુસાફરો સવાર હતા અને ફસાયેલા મુસાફરોને બીજી ટ્રેન દ્વારા ગુવાહાટી લઈ જવામાં આવ્યા હતા. આ તરફ આસામ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી જેથી આસામના ઘાયલ લોકોની મદદ કરી શકાય.

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ બેઠક દરમિયાન વડાપ્રધાન મોદીને આ દુર્ઘટના અંગેની જાણકારી આપી હતી. રેલવેએ મૃતકોના પરિવારજનોને 5 લાખ રૂપિયાની આર્થિક મદદ કરવાની જાહેરાત કરી છે. તે સિવાય ગંભીર રીતે ઘવાયેલા લોકોને 1 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે અને બાકીના સામાન્ય ઈજાઓ પહોંચી હોય તેવા લોકોને 25 હજાર રૂપિયાની આર્થિક સહાય કરવામાં આવશે. 

Share: