પૂર્વ ભારતીય ક્રિકેટર સલીમ દુર્રાનીનું 88 વર્ષની વયે નિધન, તેઓ લાંબા સમયથી બીમાર હતા

પૂર્વ ભારતીય ક્રિકેટર સલીમ દુર્રાનીનું 88 વર્ષની વયે નિધન, તેઓ લાંબા સમયથી બીમાર હતા
Image : Twitter

અમદાવાદ, 02 એપ્રિલ 2023, રવિવાર

ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર સલીમ દુર્રાનીનું 88 વર્ષની વયે નિધન થયુ છે.  તેઓ લાંબા સમયથી બીમાર હતા. સલીમ દુરાની ભારતીય ક્રિકેટ ટીમના અદભૂત ઓલરાઉન્ડર હતા. ભારતે જ્યારે 1971માં વેસ્ટ ઈન્ડિઝ સામે ઐતિહાસિક જીત હાંસલ કરી ત્યારે તેમાં દુર્રાનીની મહત્વની ભૂમિકા રહી હતી. તેણે આજે સવારે ગુજરાતના જામનગરમાં અંતિમ શ્વાસ લીધા હતા. 

ભારતીય ક્રિકેટ માટે આજે સવારે એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. ટીમ ઈન્ડિયાના પૂર્વ દિગ્ગજ ક્રિકેટર સલીમ દુરાનીનું 88 વર્ષની વયે નિધન થયું છે. ગુજરાતના જામનગરમાં આજે સવારે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ કેન્સર સામે લડી રહ્યા હતા. દુર્રાની એવા પ્રથમ ભારતીય ક્રિકેટર છે જેમને 1960માં અર્જુન એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. દુર્રાનીએ ભારત માટે કુલ 29 ટેસ્ટ મેચ રમી હતી. તેમણે 1202 રન બનાવ્યા હતા જેમાં 1 સદી અને 7 ફિફ્ટીનો સમાવેશ થાય છે આ ઉપરાંત 75 વિકેટ લીધી હતી.

અફઘાનિસ્તાનમાં જન્મેલા દુર્રાની કરાચીમાં પણ રહી ચૂક્યા છે

સ્પિન ઓલરાઉન્ડર સલીમ દુરાનીનો જન્મ 11 ડિસેમ્બર 1934ના રોજ અફઘાનિસ્તાનના કાબુલમાં થયો હતો. જો કે  દુર્રાની માત્ર 8 મહિનાના હતા ત્યારે તેમનો પરિવાર પાકિસ્તાનના કરાચીમાં સ્થાયી થયો હતો. આ પછી જ્યારે ભારત અને પાકિસ્તાનનું વિભાજન થયું ત્યારે દુર્રાનીનો પરિવાર ભારત આવ્યો હતો. દુરાનીએ 60-70ના દાયકામાં પોતાના ઓલરાઉન્ડ પ્રદર્શનથી ક્રિકેટ જગતમાં એક અલગ ઓળખ બનાવી હતી. ભારતના ક્રિકેટ ઈતિહાસમાં દુરાની એક શાનદાર ઓલરાઉન્ડર તરીકે ઓળખાય છે. તેણે વર્ષ 1960માં ઓસ્ટ્રેલિયા સામે મુંબઈ ટેસ્ટમાં ડેબ્યૂ કર્યું હતું. દુર્રાની આતિશી બેટિંગ માટે જાણીતા હતા. આ સાથે દુર્રાની દર્શકોના કહેવા પર સિક્સર મારવા માટે પણ પ્રખ્યાત હતા.

તેમણે પરવીન બાબી સાથે ફિલ્મમાં કામ કર્યું હતું

સલીમ દુર્રાનીએ છેલ્લી ટેસ્ટ મેચ ફેબ્રુઆરી 1973માં ઈંગ્લેન્ડ સામે મુંબઈમાં રમી હતી. વર્ષ 1973માં ક્રિકેટમાંથી સંન્યાસ લીધા બાદ તેમણે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ હાથ અજમાવ્યો હતો. સલીમે બોલિવૂડ ફિલ્મ ‘ચરિત્ર’માં અભિનેત્રી પરવીન બાબી સાથે કામ કર્યું હતું. 

Share: