પાકિસ્તાનમાં નાટ્યાત્મક ઘટનાઓ, ઈમરાન ખાને નવી ચૂંટણી માટે ભલામણ કરી

પાકિસ્તાનમાં નાટ્યાત્મક ઘટનાઓ, ઈમરાન ખાને નવી ચૂંટણી માટે ભલામણ કરી


–  અવિશ્વાસ પ્રસ્તાવ ફગાવી દેવા સાથે આગામી 25મી એપ્રિલ સુધી સંસદને સ્થગિત કરી દેવામાં આવી

ઈસ્લામાબાદ, તા. 03 એપ્રિલ 2022, રવિવાર

પાકિસ્તાનની સંસદે વડાપ્રધાન ઈમરાન ખાન વિરૂદ્ધ રજૂ કરવામાં આવેલો અવિશ્વાસનો પ્રસ્તાવ ફગાવી દીધો છે. ત્યાર બાદ વડાપ્રધાન ઈમરાન ખાને ટીવીના માધ્યમથી રાષ્ટ્રજોગ સંબોધન કર્યું હતું જેમાં પોતે રાષ્ટ્રપતિ આરિફ અલ્વીને દેશની સંસદ ભંગ કરાવવા અને ફરી ચૂંટણી યોજવા જણાવ્યું હોવાનું કહ્યું.  

ઈમરાન ખાને પોતાના રાષ્ટ્રજોગ સંબોધનમાં જણાવ્યું કે, તેમણે રાષ્ટ્રપતિ સમક્ષ સંસદ ભંગ માટે ભલામણ કરી છે. અવિશ્વાસ પ્રસ્તાવ રદ્દ કરવામાં આવ્યો તે નિર્ણય યોગ્ય છે. આ સાથે જ તેમણે પોતાના વિરૂદ્ધ વિદેશી ષડયંત્ર રચાયું હોવાનો દાવો કર્યો હતો. 

ઈમરાન ખાને દેશની જનતાને નવી ચૂંટણીની તૈયારી કરવા માટે પણ આહ્વાન કર્યું હતું. 

ઈમરાન ખાને કહ્યું હતું કે, વિદેશી લોકોના હાથમાં ભેગા થઈ, પૈસાના જોરે લોકો કામ કરી રહ્યા છે. મેં રાષ્ટ્રપતિને ભલામણ કરી છે કે એસેમ્બ્લી ભંગ કરે. આપણે લોકશાહીમાં છીએ. આપણે પ્રજા નક્કી કરે એ રીતે નવી સરકાર બનાવીએ. પ્રજાનો નિર્ણય શિરમોર છે.

નેશનલ અસેમ્બલીના ડેપ્યુટી સ્પીકર કાસિમ ખાન સૂરીએ પાકિસ્તાની બંધારણની કલમ 5નો હવાલો આપીને મતદાન વગર જ અવિશ્વાસ પ્રસ્તાવને ફગાવી દીધો હતો. આ સાથે જ આગામી 25મી એપ્રિલ સુધી સંસદને સ્થગિત કરી દેવામાં આવી છે. 

Share: