પાકિસ્તાનમાં કાકા-માસીયાઈ, મામા-ફુઆના ભાઈ-બહેનો વચ્ચે લગ્નના કારણે વધ્યું આ બીમારીનું જોખમ

પાકિસ્તાનમાં કાકા-માસીયાઈ, મામા-ફુઆના ભાઈ-બહેનો વચ્ચે લગ્નના કારણે વધ્યું આ બીમારીનું જોખમ


– જેરૂસલેમમાં અરબો, પારસીઓ અને દક્ષિણ ભારતીયોમાં પણ નજીકના સગાઓ સાથે લગ્ન કરવાની પરંપરા જોવા મળે છે

નવી દિલ્હી, તા. 11 ફેબ્રુઆરી, 2022, શુક્રવાર

ઈસ્લામમાં કાકા, મામા, માસીયાઈ અને ફોઈના ભાઈ-બહેન વચ્ચે શાદી એટલે કે લગ્ન કરવાની મંજૂરી છે. એક રીતે નિકાહ માટેની આ વ્યવસ્થા સંપૂર્ણપણે વૈકલ્પિક છે પરંતુ પાકિસ્તાનના અમુક કસ્બાઓમાં નજીકના સગાઓમાં લગ્ન એક પરંપરા તરીકે જોવામાં આવે છે. જોકે કેટલાક લોકો દ્વારા આ પરંપરા સામે સવાલ પણ કરવામાં આવી રહ્યા છે. તેમના કહેવા પ્રમાણે આ પ્રથાના કારણે જિનેટીક ડિસઓર્ડર એટલે કે, આનુવંશિક વિકારના કેસ વધી રહ્યા છે. 

કઝિન મેરેજના કારણે થતી સમસ્યાઓઃ

જર્મનીના DW ન્યૂઝ દ્વારા પાકિસ્તાનના નિકાહની આ પરંપરાથી બંધાયેલા લોકોનો એક વિસ્તૃત રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો હતો. આ ઈન્ટરવ્યુ દરમિયાન અનેક લોકોએ પોતાના અંગત અનુભવો શેર કર્યા હતા. પાકિસ્તાનના કબજાવાળા કાશ્મીરમાં રહેતા 56 વર્ષીય ગફૂર હુસૈન 8 બાળકોના પિતા છે. 1987માં તેમણે પોતાના મામાની દીકરી સાથે લગ્ન કર્યા હતા અને તેમના 3 બાળકો કોઈને કોઈ હેલ્થ ડિસઓર્ડરનો સામનો કરી રહ્યા છે. તેમની એક દીકરીને બોલવામાં તકલીફ પડે છે, બીજી સરખી રીતે સાંભળી નથી શકતી. તેમને સતત પોતાના મૃત્યુ બાદ બાળકોનું કોણ એવી ચિંતા રહ્યા કરે છે. તેમના પરિવારની મેડિકલ હિસ્ટ્રીમાં બ્લડ ડિસઓર્ડર, લર્નિંગ ડિસેબિલિટી, અંધાપો, બહેરાશની સમસ્યા જોવા મળે છે. ડોક્ટર્સના કહેવા પ્રમાણે આ ઈનબ્રીડિંગ એટલે કે, અંતઃપ્રજનનના કારણે છે. 

પાકિસ્તાનની જિનેટીક મ્યુટેશનની સમસ્યા

2017માં પાકિસ્તાનમાં મ્યુટેશનના પ્રકાર અને તેના સાથે સંબંધીત અનેક ડિસઓર્ડર ટ્રેક કરવામાં આવ્યા છે. રિપોર્ટ પ્રમાણે પાકિસ્તાનમાં લોહીના સંબંધોમાં લગ્ન થવાના કારણે જિનેટીક ડિસઓર્ડર વધી રહ્યા છે. એક ડેટાબેઝ પ્રમાણે પાકિસ્તાનમાં મળી આવતા 130 વિભિન્ન પ્રકારના આનુવંશિક વિકારમાં 1,000થી વધારે મ્યુટેશન મળી આવ્યા છે. 

અમુક વિશેષ સમુદાયો અને કબીલાઓમાં આંતર્વિવાહ સામાન્ય બાબત હોવાથી થેલેસેમિયા એ સૌથી પ્રચલિત સમસ્યા જોવા મળે છે. 

જોકે નજીકના સગાઓમાં લગ્નની આ પરંપરા માત્ર ઈસ્લામ કે પાકિસ્તાનમાં જ છે એવું નથી. જેરૂસલેમમાં અરબો, પારસીઓ અને દક્ષિણ ભારતીયોમાં પણ નજીકના સગાઓ સાથે લગ્ન કરવાની પરંપરા જોવા મળે છે. દક્ષિણ ભારતમાં અનેક એવા સમુદાય છે જે આ પરંપરાનું પાલન કરે છે. તેઓ ગોત્રમને ગંભીરતાથી લે છે અને તેમાં વિવાહ નથી કરતા. મતલબ કે, એક જ ગોત્રના પુરૂષ અને મહિલા વચ્ચે લગ્ન નથી. પુરૂષ પોતાની બહેન સાથે લગ્ન ન કરી શકે પરંતુ પોતાના મામાની દીકરી સાથે લગ્ન કરી શકે. એ જ રીતે મામા અને ભાણીના પણ લગ્ન થતા હોય છે. ગોત્રમ પ્રણાલી આનુવંશિક દૂરી જાળવી રાખે છે અને સજાતીય વિવાહના દૃષ્ટિકોણથી તે સુરક્ષિત પણ ગણાય છે. 

Share: