પંજાબ સરકારે માની ખેડૂતોની માગણી, શેરડીનું મૂલ્ય હવે 360 રૂ. પ્રતિ ક્વિન્ટલ

પંજાબ સરકારે માની ખેડૂતોની માગણી, શેરડીનું મૂલ્ય હવે 360 રૂ. પ્રતિ ક્વિન્ટલ


– પંજાબ કોંગ્રેસના નવા પ્રદેશ અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુએ પણ કેપ્ટન સરકારના આ નિર્ણયને લઈ તેમની પ્રશંસા કરી 

નવી દિલ્હી, તા. 25 ઓગષ્ટ, 2021, બુધવાર

પંજાબ સરકારે શેરડીના ખેડૂતોની માગણી સ્વીકારી લીધી છે. આ સાથે જ પંજાબ સરકારે શેરડીનો રેટ વધારીને 360 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ કરી દીધો છે. પંજાબના ખેડૂતો શેરડીનો રેટ વધારવાને લઈ આંદોલન કરી રહ્યા હતા. આ રીતે સરકાર દ્વારા નવા રેટની જાહેરાત કરાયા બાદ ખેડૂતોએ પોતાનું પ્રદર્શન પાછું ખેંચી લીધું છે. મુખ્યમંત્રીએ ખેડૂત નેતાઓ સાથે બેઠક બાદ શેરડીના રાજ્ય પરામર્શ મૂલ્ય (એસએપી)માં વધારો કરવાની જાહેરાત કરી છે. 

મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે પોતાના ટ્વીટર હેન્ડલ પર એક વીડિયો પણ શેર કર્યો હતો. તેના કેપ્શનમાં લખ્યું હતું કે, હું ખેડૂતોની ભલાઈ માટે, તેમની રક્ષા માટે પ્રતિબદ્ધ છું. ભવિષ્યમાં પણ મારી સક્ષમતા પ્રમાણે તેમની યથાસંભવ મદદ કરતો રહીશ. 

કિસાન મોરચા એકતાએ પણ ટ્વીટ કરીને પ્રસન્નતા જાહેર કરી હતી. તેમણે લખ્યું હતું કે, પંજાબ કિસાન યુનિયન અને ખેડૂતો સીએમ અમરિંદર સિંહના આભારી છે કે તેમણે શેરડીની કિંમત 310 રૂપિયાથી વધારીને 360 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ કરી દીધી છે. આ અમારા ખેડૂતો અને પંજાબ માટે મોટો વિજય છે. આ ખેડૂત એકતાનો વિજય છે. 

પંજાબ કોંગ્રેસના નવા પ્રદેશ અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુએ પણ કેપ્ટન સરકારના આ નિર્ણયને લઈ તેમની પ્રશંસા કરી છે. તેમણે લખ્યું હતું કે, શેરડીની એસએપીમાં વધારાને લઈ હું સરકારની પ્રશંસા કરૂ છું. હવે 4 રાજ્યોની સરખામણીએ અમારા પ્રદેશમાં સૌથી વધારે એસએપી છે. 

Share: