પંજાબ કોંગ્રેસમાં કલહ યથાવત, સિધ્ધુને પ્રદેશ અધ્યક્ષ બનાવવા સામે સાંસદોનો વિરોધ

પંજાબ કોંગ્રેસમાં કલહ યથાવત, સિધ્ધુને પ્રદેશ અધ્યક્ષ બનાવવા સામે સાંસદોનો વિરોધ

પંજાબ,તા.18 જુલાઈ 2021,રવિવાર

કોંગ્રેસની નેતાગીરી  દ્વારા થઈ રહેલા ભરપૂર પ્રયાસો બાદ પણ પંજાબ કોંગ્રેસમાં સીએમ કેપ્ટન અમરિન્દર સિંઘ અને નવજોત સિધ્ધુ વચ્ચેનુ ઘમાસાણ શાંત થઈ રહ્યુ નથી.

કેપ્ટન અને તેમના સમર્થકો પંજાબમાં કોંગ્રેસ અધ્યક્ષ તરીકે નવજોત સિધ્ધુની નિમણૂંક કરવાની ફોર્મ્યુલા સાથે સંમત નથી. અમરિન્દર સિંઘે પોતાના સમર્થનમાં કોંગ્રેસ સાંસદોની ટીમને દિલ્હીમાં ઉતારી છે. સાંસદ પ્રતાપસિંહ બાજવાના ઘરે આ બેઠક યોજાશે. જેમાં નવજોત સિધ્ધુને અધ્યક્ષ બનાવવા અંગે ચર્ચા થશે અને એ પછી આ સાંસદો કોંગ્રેસના કાર્યકાકરી અધ્યક્ષ સોનિયા ગાંધીને મળવા માટે સમય માંગે તેવી શક્યતા છે.

સાંસદો સોનિયા ગાંધીને મળીને સિધ્ધુને પ્રદેશ અધ્યક્ષ બનાવવાનો વિરોધ કરી શકે છે. બીજી તરફ સિધ્ધુએ પણ પંજાબમાં પોતાની તરફેણમાં માહોલ ઉભો કરવા માટે બેઠકો ચાલુ રાખી છે. સિધ્ધુએ શનિવારે આખો દિવસ રાજ્યના મંત્રીઓ અને પોતાના સમર્થકો સાથે તેમજ પાર્ટીના વર્તમાન અધ્યક્ષ સુનિલ જાખડ અને ત્રણ પૂર્વ અધ્યક્ષો સાથે મુલાકાત કરી હતી.

પહેલા એવુ લાગતુ હતુ કે, કોંગ્રેસના વરિષ્ઠ નેતા હરીશ રાવતની સમજાવટ બાદ કેપ્ટન અને સિધ્ધુ વચ્ચનો કલહ શાંત થઈ જશે. રાવતે પણ ગઈકાલે દાવો કર્યો હતો કે, કેપ્ટન અમરિન્દર સિંઘ હાઈકમાન્ડ જે પણ આદેશ કરશે તે માનવા માટે તૈયાર છે. જોકે એ પછી પણ જે સંકેતો મળ્યા છે તે પ્રમાણે કેપ્ટન કોંગ્રેસ અધ્યક્ષ પદે સિધ્ધુને જોવા માંગતા નથી.

Share: