×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

પંજાબઃ ચરણજીત સિંહ ચન્નીએ ગ્રહણ કર્યા CM પદના શપથ, પંજાબને મળ્યા પહેલા દલિત મુખ્યમંત્રી


- સુખજિંદર રંધાવા અને ઓમપ્રકાશ સોની પંજાબના નવા નાયબ મુખ્યમંત્રી તરીકે કામ કરશે

નવી દિલ્હી, તા. 20 સપ્ટેમ્બર, 2021, સોમવાર 

પંજાબમાં આગામી વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણી પહેલા ભારે મોટો ફેરફાર થયો છે. સોમવારે દલિત નેતા ચરણજીત સિંહ ચન્નીએ મુખ્યંમત્રી પદના શપથ ગ્રહણ કર્યા હતા. કેપ્ટન અમરિંદર સિંહે શનિવારે જ મુખ્યમંત્રી પદેથી રાજીનામુ આપ્યું હતું. પંજાબ કોંગ્રેસમાં ચાલી રહેલા દંગલ વચ્ચે કોંગ્રેસ પાર્ટીએ ચહેરો બદલ્યો છે. જોકે હજુ પણ પાર્ટીમાં ચાલી રહેલા દંગલનો અંત નથી આવ્યો પરંતુ કોંગ્રેસે ચૂંટણી પહેલા પોતાનો નવો દાવ રમીને ભવિષ્યની તૈયારી કરી છે. 

ચરણજીત સિંહ ચન્નીએ સોમવારે મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ કર્યા હતા. તેઓ પંજાબના 16મા મુખ્યમંત્રી છે અને સાથે જ પહેલા દલિત મુખ્યંમત્રી છે. આગામી વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસે પોતાનો મુખ્યમંત્રી ચહેરો બદલ્યો છે. 

સુખજિંદર રંધાવા અને ઓમપ્રકાશ સોની પંજાબના નવા નાયબ મુખ્યમંત્રી તરીકે કામ કરશે. રાહુલ ગાંધી ઉપરાંત હરીશ રાવત અને અજય માકન પણ ચન્નીને શુભેચ્છા આપવા માટે રાજભવન પહોંચ્યા હતા. 

ચરણજીત સિંહ ચન્ની ઉપરાંત સોમવારે સુખજિંદર સિંહ રંધાવાએ પણ શપથ ગ્રહણ કર્યા હતા. સુખજિંદર સિંહ રંધાવાએ મંત્રી પદના શપથ ગ્રહણ કર્યા છે. તે સિવાય ઓપી સોનીએ પણ સોમવારે મંત્રી પદના શપથ લીધા હતા. રાજભવન ખાતે ખૂબ જ સાદગીપૂર્ણ શપથ ગ્રહણ સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં માત્ર 40 જ લોકોને મંજૂરી આપવામાં આવી હતી અને મીડિયાને પ્રવેશ નહોતો અપાયો. કોવિડ પ્રોટોકોલને અનુલક્ષીને આ પ્રકારે સાદાઈથી કાર્યક્રમ યોજાયો હતો. 

કાર્યક્રમમાં સામેલ થવા માટે ચરણજીત સિંહ ચન્ની, નવજોત સિંહ સિદ્ધુ, સુનીલ જાખડ સહિત પંજાબ કોંગ્રેસના તમામ નેતાઓ ચંદીગઢ ખાતે રાજભવન પહોંચી ગયા હતા.