પંજશીર ખાતે તાલિબાન અને નોર્ધન એલાયન્સ વચ્ચે વાતચીત, સીઝફાયર અંગે સહમતિ સધાઈ

પંજશીર ખાતે તાલિબાન અને નોર્ધન એલાયન્સ વચ્ચે વાતચીત, સીઝફાયર અંગે સહમતિ સધાઈ


– બંને પક્ષો સંયુક્ત સરકાર ચલાવવા અંગે વાત કરી રહ્યા છે. નોર્ધન એલાયન્સ તરફથી કેટલીક શરતો રાખવામાં આવી છે જેના પર તાલિબાને નિર્ણય લેવાનો છે. 

નવી દિલ્હી, તા. 26 ઓગષ્ટ, 2021, ગુરૂવાર

અફઘાનિસ્તાનના પંજશીર ખાતે તાલિબાન અને નોર્ધન એલાયન્સ વચ્ચે ફરી એક વખત વાતચીત શરૂ થઈ છે. તાલિબાને ભલે સમગ્ર વિસ્તાર પર કબજો મેળવી લીધો હોય પરંતુ હજુ સુધી તે પંજશીર સુધી નથી પહોંચી શક્યું. બંને જૂથ વચ્ચે લાંબા સમયથી જંગ ચાલી રહી હતી પરંતુ હવે સીઝફાયરને લઈ સહમતિ સધાઈ છે. 

જાણવા મળ્યા મુજબ અહમદ મસૂદની આગેવાનીમાં નોર્ધન એલાયન્સ અને તાલિબાન વચ્ચે પરવાન ખાતે વાતચીત શરૂ થઈ હતી. મૌલાના અમીર ખાન મુક્તઈએ તાલિબાન તરફથી વાતચીતની આગેવાની કરી હતી. તાલિબાન દ્વારા આ વાતચીતને અમન જિરગા નામ આપવામાં આવ્યું છે. આ બેઠક પરવાન જિલ્લાના ચારિકર વિસ્તારમાં યોજાઈ હતી. 

તાલિબાને પંજશીર મુદ્દે કહ્યું કે, બંને તરફથી સીઝફાયર અંગે સહમતિ સધાઈ છે. પંજશીરમાં બંને તરફના ફાઈટર્સ હાલ કોઈ પર ગોળીબાર નહીં કરે અને કોઈ પ્રકારનો તણાવ પણ નહીં સર્જવામાં આવે. 

પંજશીરને ન જીતી શક્યું તાલિબાન

ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં તાલિબાન અને નોર્ધન એલાયન્સના ફાઈટર્સ વચ્ચે પંજશીરની સરહદે ગોળીબારના સમાચાર સામે આવ્યા હતા. તેમાં આશરે 300 જેટલા તાલિબાનીઓ માર્યા ગયા હોવાનું કહેવામાં આવ્યું હતું. તાલિબાન સતત પંજશીર પર કબજો જમાવવા પ્રયત્નશીલ છે. જોકે નોર્ધન એલાયન્સ તેમ ન બને તે માટે અડગ છે. 

અહમદ શાહ મસૂદનો દીકરો અહમદ મસૂદ હાલ નોર્ધન એલાયન્સની આગેવાની કરી રહ્યો છે. જોકે અફઘાનિસ્તાનના કાર્યકારી રાષ્ટ્રપતિ અમરૂલ્લા સાલેહ પણ તે વિસ્તારમાં જ રોકાયા છે. બધા તરફથી વાતચીતની રજૂઆત કરવામાં આવી હતી. જોકે સાથે જ એમ પણ કહેવામાં આવ્યું હતું કે, તાલિબાન જંગ ઈચ્છતું હોય તો જંગ પણ લડવામાં આવશે. 

સાથે જ બંને પક્ષો સંયુક્ત સરકાર ચલાવવા અંગે વાત કરી રહ્યા છે. નોર્ધન એલાયન્સ તરફથી કેટલીક શરતો રાખવામાં આવી છે જેના પર તાલિબાને નિર્ણય લેવાનો છે. જ્યારે તાલિબાન પંજશીર મુદ્દો જલ્દી ઉકેલવાનો દાવો કરી રહ્યું છે. 

Share: