નેપાળ સરહદે આવેલા UPના 7 જિલ્લાઓમાં મસ્જિદ-મદરેસાઓની સંખ્યામાં 26%નો વધારો, SSBએ આપ્યું એલર્ટ

નેપાળ સરહદે આવેલા UPના 7 જિલ્લાઓમાં મસ્જિદ-મદરેસાઓની સંખ્યામાં 26%નો વધારો, SSBએ આપ્યું એલર્ટ


– સરહદી જિલ્લાઓમાં ડેમોગ્રાફિક ફેરફારના સંકેત, યુપી-નેપાળ સરહદે નકલી ભારતીય મુદ્રાની તસ્કરી અને માદક પદાર્થોની તસ્કરી પણ વધી 

નવી દિલ્હી, તા. 12 જાન્યુઆરી, 2022, બુધવાર

સશસ્ત્ર સીમા બળ એટલે કે, SSBએ નેપાળને અડીને આવેલી ઉત્તર પ્રદેશની 15 કિમી લાંબી સરહદ પર મસ્જિદ અને મદરેસાઓની સંખ્યાને લઈ ચેતવણી આપી છે. અધિકારીઓના કહેવા પ્રમાણે 2018ના વર્ષમાં ત્યાં મસ્જિદોની સંખ્યા 738 હતી જે 2021 સુધીમાં વધીને 1,000 થઈ ગઈ છે. આ સમયગાળા દરમિયાન મદરેસાઓની સંખ્યા પણ 500થી વધીને 645 થઈ ગઈ છે. 

ભારત નેપાળ સાથે ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ અને સિક્કિમની મળીને કુલ 1 હજાર 751 કિમી લાંબી સરહદ શેર કરે છે. તેમાં નેપાળ સાથે ઉત્તર પ્રદેશની 570 કિમીની સરહદ જોડાયેલી છે. આ ક્ષેત્રમાં 30 બોર્ડર પોલીસ સ્ટેશન પણ છે. ઈટીના અહેવાલ પ્રમાણે ઉત્તર પ્રદેશના 7 સરહદી જિલ્લાઓમાં મસ્જિદ, મદરેસાઓનું નિર્માણ વધ્યું છે. આ જિલ્લાઓમાં મહારાજગંજ, સિદ્ધાર્થનગર, બલરામપુર, બહરાઈચ, શ્રવસ્તી, પીલીભીત અને ખીરીનો સમાવેશ થાય છે.   

SSBના અધિકારીઓના કહેવા પ્રમાણે છેલ્લા 3 વર્ષોમાં મસ્જિદો અને મદરેસાઓના નિર્માણ કાર્યમાં આશરે 26 ટકાનો વધારો જોવા મળ્યો છે. આ કારણે સરહદી જિલ્લાઓમાં ડેમોગ્રાફિક ફેરફારના સંકેત મળે છે. યુપી-નેપાળ સરહદે નકલી ભારતીય મુદ્રાની તસ્કરી અને માદક પદાર્થોની તસ્કરી પણ વધી છે. નેપાળ સાથે ભારતની કોઈ પ્રત્યાર્પણ સંધિ પણ નથી. 

ભારત માટે આ એટલા માટે પણ ચિંતાનો વિષય છે કારણ કે, છેલ્લા કેટલાક સમયથી પાકિસ્તાને નેપાળમાં સુરક્ષિત આતંકવાદી અડ્ડાઓ બનાવવાનું શરૂ કર્યું છે અને તે ઉપરાંત ચીન પણ હવે આ નાનકડાં હિમાલયી દેશમાં ખૂબ જ રૂચિ લઈ રહ્યું છે. 

Share: