નીતીશ કુમારે 8મી વખત બિહારના મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ કર્યા

નીતીશ કુમારે 8મી વખત બિહારના મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ કર્યા


– રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી) નેતા તેજસ્વી યાદવે પણ મંત્રી પદના શપથ ગ્રહણ કર્યા છે

પટના, તા. 10 ઓગષ્ટ 2022, બુધવાર

નીતીશ કુમારે 8મી વખત બિહારના મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા છે. પટના સ્થિત રાજભવનમાં રાજ્યપાલ ફાગુ ચૌહાણે બુધવારે બપોરે તેમને પદ અને ગોપનીયતાના શપથ ગ્રહણ કરાવ્યા હતા. તેમની સાથે રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી) નેતા તેજસ્વી યાદવે પણ મંત્રી પદના શપથ ગ્રહણ કર્યા છે. તેઓ બીજી વખત રાજ્યના ડેપ્યુટી સીએમ બન્યા છે. મહાગઠબંધનની નવી સરકારમાં મંત્રીપરિષદનું ગઠન પાછળથી કરવામાં આવશે. 

રાજભવનમાં આયોજિત શપથ ગ્રહણ સમારોહમાં આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવના પરિવારના અનેક સદસ્યો હાજર રહ્યા હતા. પૂર્વ સીએમ રાબડી દેવી, તેમના પુત્ર તેજ પ્રતાપ યાદવ, તેજસ્વી યાદવના પત્ની સહિત આરજેડીના અનેક મોટા નેતાઓ શપથ ગ્રહણ સમારોહમાં પહોંચ્યા હતા. 

વિપક્ષ મજબૂત થશે: નીતીશ કુમાર

શપથ ગ્રહણ બાદ નીતીશ કુમારે કહ્યું કે, બિહારની જનતા નવી સરકારથી ખૂબ જ ખુશ છે. 2020ની ચૂંટણીમાં JDU સાથે ખોટો વ્યવહાર થયો. અમારી પાર્ટીના ધારાસભ્યોએ કહ્યું કે, બીજેપીનો સાથ છોડી દેવો જોઈએ અને અંતે અમે બીજેપીનો સાથ છોડી દીધો. નીતીશ કુમારે કહ્યું કે, કેટલાક લોકોને લાગે છે કે, વિપક્ષ ખતમ થઈ જશે પરંતુ હવે અમે પણ વિપક્ષમાં આવી ગયા છીએ. હવે વિપક્ષ વધુ મજબૂત બનશે. 

Share: