નિષ્ક્રિય EPF એકાઉન્ટમાં જમા રૂ.3930 કરોડની રકમનો કોઇ દાવેદાર નથી

નિષ્ક્રિય EPF એકાઉન્ટમાં જમા રૂ.3930 કરોડની રકમનો કોઇ દાવેદાર નથી


– ઇપીએફઓમાં કુલ 18,62,128 કંપનીઓની નોંધણી, સૌથી વધુ મહારાષ્ટ્ર, દિલ્હી અને ગુજરાતની કંપનીઓ

નવી દિલ્હી, તા.7 એપ્રિલ 2022,ગુરૂવાર

એમ્પ્લોય પ્રોવિડન્ટ ફંડ એટલે કે ઇપીએફના નિષ્ક્રિય ખાતાઓમાં રૂ. 3930.85 કરોડની રકમ હોવાની સરકારે સંસદમાં માહિતી આપી છે.

શ્રમ અને રોજગાર મંત્રી ભૂપેન્દ્ર યાદવે એક પ્રશ્નના લેખિત જવાબમાં આ માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે, એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડમાં દાવા વગરની કોઇ થાપણ નથી. કર્મચારી ભવિષ્ય નિધિ યોજના 1952 મુજબ કેટલાક ખાતાઓને નિષ્ક્રિય ખાતા તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે. તેમણે ઉમેર્યુ કે, આવા તમામ નિષ્ક્રિય ખાતાઓમાં ચોક્કસપણે દાવેદારો છે. 31 માર્ચ, 2021ના રોજ આવા નિષ્ક્રિય ખાતાઓમાં જમા કુલ રકમ રૂ. 3930.85 કરોડ છે. 

તમણે જણાવ્યુ કે, ઇપીએફઓ સાથે વિવિધ શ્રેણીઓમાં નોંધાયેલી કુલ કંપનીઓની સંખ્યા 18,62,128 છે. 1 ઓક્ટોબર 2020 પછી આ સંસ્થાઓ દ્વારા 1,44,82,359 નવા કર્મચારીઓની ભરતી કરવામાં આવી હતી. જેમાં મહારાષ્ટ્રની સૌથી વધુ 2,97,684 કંપનીઓ નોંધાયેલી છે. ત્યારબાદના ક્રમે દિલ્હીની 1,14,151 કંપની, ગુજરાતની 1,37,686 કંપની, તમિલનાડુની 1,67,390 કંપની અને ઉત્તર પ્રદેશની 1,47,790 કંપનીઓ ઇપીએફઓ સાથે નોંધાયેલી છે.

Share: