દેશમાં કોરોનાએ ફરી માથું ઉચક્યું, સતત બીજા દિવસે કેસમાં 40%નો ઉછાળો

દેશમાં કોરોનાએ ફરી માથું ઉચક્યું, સતત બીજા દિવસે કેસમાં 40%નો ઉછાળો


– દેશમાં અત્યાર સુધીમાં કુલ કોવિડ સંક્રમિતોની સંખ્યા વધીને 4 કરોડ 31 લાખ 97 હજાર 522 થઈ ગઈ છે

નવી દિલ્હી, તા. 09 જૂન 2022, ગુરૂવાર

દેશમાં કોરોનાએ ફરી માથું ઉચક્યું છે. દેશભરમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના (Coronavirus)ના કુલ 7,240 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ દેશમાં અત્યાર સુધીમાં કુલ કોવિડ સંક્રમિતોની સંખ્યા વધીને 4 કરોડ 31 લાખ 97 હજાર 522 થઈ ગઈ છે. કોવિડના નવા સંક્રમણના કેસમાં આ સતત બીજો દિવસ છે જ્યારે લગભગ 40%નો ઉછાળો નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં દેશભરમાં કુલ 8 લોકોના કોવિડથી મૃત્યુ થઈ ગયા છે. અત્યાર સુધીમાં દેશમાં કોવિડના કારણે કુલ 5 લાખ 24 હજાર 723 લોકોના મૃત્યુ થઈ ચૂક્યા છે. 

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે દેશભરમાં હાલમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા વધીને 32,498 થઈ ગઈ છે. એક્ટિવ કેસ કુલ સંક્રમણના 0.08% છે. દેશમાં હાલમાં રિકવરી રેટ 98.71% પર પહોંચી ગયો છે. જોકે, છેલ્લા 24 કલાકમાં દેશભરમાં કુલ 3591 દર્દીઓ સાજા થયા છે જે નવા દર્દીઓની સંખ્યાથી અડધા કરતા પણ ઓછા છે. અત્યાર સુધી દેશમાં કુલ 4 કરોડ, 26 લાખ, 40 હજાર, 301 લોકો આ મહામારીને માત આપી ચૂક્યા છે. 

દેશમાં ડેઈલી પોઝિટિવિટી રેટ વધીને હવે 2.13% અને વીકલી પોઝિટિવિટી રેટ 1.31% થઈ ગયો છે. અત્યાર સુધી દેશમાં કુલ 85.38 કરોડ સેમ્પલના ટેસ્ટિંગ થઈ ચૂક્યા છે. છેલ્લા 24 કલાકમાં 3,40,615 સેમ્પલના ટેસ્ટ કરવામાં આવ્યા છે. 

મંત્રાલયના જણાવ્યા પ્રમાણે રાષ્ટ્રીય ટિકાકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં દેશમાં કુલ 194.59 કરોડ વેક્સિનના ડોઝ લગાવવામાં આવ્યા છે. 

Share: