દેશના 29 વર્તમાન મુખ્યમંત્રીઓ કરોડપતિ અને 13 સામે ગંભીર ગુનાઇત કેસ, ADRનો ચોંકાવનારો રિપોર્ટ

દેશના 29 વર્તમાન મુખ્યમંત્રીઓ કરોડપતિ અને 13 સામે ગંભીર ગુનાઇત કેસ, ADRનો ચોંકાવનારો રિપોર્ટ

image : Wikipedia 

એસોસિએશન ઓફ ડેમોક્રેટિક રિફોર્મ(ADR)દ્વારા ચૂંટણી સોગંદનામાઓનું વિશ્લેષણ કરાયું હતું. જેમાં માહિતી મળી કે દેશમાં 29 વર્તમાન મુખ્યમંત્રીઓ કરોડપતિ છે. તેમાંથી આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી જગનમોહન રેડ્ડીની સંપત્તિ સૌથી વધુ 510 કરોડ રૂપિયા છે. ADRના રિપોર્ટ અનુસાર પ.બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીની સંપત્તિ સૌથી ઓછી 15 લાખ રૂ છે. જોકે કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયન અને હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર પાસે 1 કરોડ રૂ.થી વધુની સંપત્તિ છે. 

30 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોનું વિશ્લેષણ 

એડીઆર અને ઈલેક્શન વૉચ અનુસાર આ રિપોર્ટમાં 30 રાજ્યો તથા કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્યમંત્રીઓના ચૂંટણી સોગંદનામાનું વિશ્લેષણ કરાયું છે. તેમાં 28 રાજ્યો અને 2 કેન્દ્રશાસિત પ્રદેશો દિલ્હી તથા પુડ્ડુચેરીના મુખ્યમંત્રી સામેલ છે. તેમાં જે 30 મુખ્યમંત્રીઓના ચૂંટણી સોંગદનામાનું વિશ્લેષણ કરાયું હતું તેમાં 29(97 ટકા) કરોડપતિ છે અને તેમની સરેરાશ સંપત્તિ 33.96 કરોડ રૂ. છે. 

13 મુખ્યમંત્રી સામે ગંભીર ગુનાઈત કેસ

ADRના અહેવાલ અનુસાર તેમનામાંથી 13એ સોગંદનામામાં ગંભીર ગુનાઈત કેસ હોવાની માહિતી આપી છે. તેમાં હત્યા, હત્યાનો પ્રયાસ, અપહરણ વગેરે પણ સામેલ છે. આ મુખ્યમંત્રીઓમાં આંધ્રપ્રદેશના મુખ્યમંત્રીની સંપત્તિ 510 કરોડ રૂ. જણાવાઈ છે. જ્યારે અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રીની સંપત્તિ 163 કરોડ રૂ. અને ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકની સંપત્તિ 63 કરોડ રૂ. જણાવાઈ છે. જ્યારે બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર અને દિલ્હીના સીએમ કેજરીવાલની સંપત્તિ 3 કરોડ રૂ.થી વધુ છે. 

Share: