દલિત નેતા જીજ્ઞેશ મેવાણીની મધરાતે ધરપકડ

દલિત નેતા જીજ્ઞેશ મેવાણીની મધરાતે ધરપકડ


– કયા કારણોસર કે કઈ ફરિયાદમાં તેમને પકડવામાં આવ્યા છે તે અંગે કોઈ વિગત સામે નથી આવી

અમદાવાદ, તા. 21 એપ્રિલ 2022, ગુરૂવાર

દલિત નેતા, ગુજરાત વિધાનસભામાં સભ્ય એવા જીજ્ઞેશ મેવાણીની આસામ પોલીસે બુધવારે મધરાતે ધરપકડ કરી છે. ઉપલબ્ધ વિગત અનુસાર મેવાણી પાલનપુર ખાતે સર્કિટ હાઉસમાં રોકાયા હતા ત્યારે આસામ પોલીસે તેની અટકાયત કરી, ગુવાહાટી લઈ જવા માટે તજવીજ હાથ ધરી છે.

મેવાણીના ટેકેદારોએ જણાવ્યું હતું કે, કયા કારણોસર કે કઈ ફરિયાદમાં તેમને પકડવામાં આવ્યા છે તે અંગે કોઇ વિગત નથી. આસામ પોલીસે આ અંગે કોઈ ફરિયાદ કે કાગળ મેવાણીના સમર્થકોને આપ્યા નથી.

જોકે, સોશિયલ મીડિયા ઉપર આસામ ખાતે કરવામાં આવેલી ફરિયાદ વાયરલ થઈ છે. આ ફરિયાદમાં તા. 18 એપ્રિલે જીજ્ઞેશ મેવાણીએ વડાપ્રધાનને સંબોધન કરી એક મેસેજ કર્યો હતો. 

ફરિયાદીનું માનવું છે કે આ પ્રકારના ટ્વીટથી સમાજમાં એખલાસ ડહોળાય છે અને તેના કારણે ટ્વીટ કરનાર મેવાણી સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ.

મળતી માહિતી અનુસાર દલિતો માટે સતત અવાજ ઉઠાવતા અને કોંગ્રેસને ટેકો આપતા નેતા સોશિયલ મીડિયામાં સતત નિવેદન કરતા રહે છે. આવા કોઈ નિવેદન, ટિપ્પણી કે ટીકાના કેસમાં મેવાણી સામે આસામમાં ફરિયાદ થઈ હોવાની શક્યતા છે.

Share: