'તેમના બલિદાનને ક્યારેય નહીં ભૂલીએ': PM મોદીએ પુલવામા હુમલાના શહીદોને યાદ કર્યા

'તેમના બલિદાનને ક્યારેય નહીં ભૂલીએ': PM મોદીએ પુલવામા હુમલાના શહીદોને યાદ કર્યા


– કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ પણ ભાવુક શ્રદ્ધાંજલિ આપી

નવી દિલ્હી, તા. 14 ફેબ્રુઆરી 2023, મંગળવાર

14 ફેબ્રુઆરીના દિવસે જ 4 વર્ષ પહેલા જમ્મુ-કાશ્મીરના પુલવામામાં આતંકવાદી હુમલો થયો હતો. બપોરે લગભગ 3: વાગ્યે જૈશ-એ-મહોમ્મદના એક આતંકવાદીએ શ્રીનગર-જમ્મુ નેશનલ હાઈવે પર CPRFના કાફલામાં વિસ્ફોટક લઈને જઈ રહેલા એક વાહનને ટક્કર મારી દીધી હતી. આ હુમલામાં 40 જવાનો શહીદ થઈ ગયા હતા. 14 ફેબ્રુઆરી 2019 ના રોજ થયેલા આ હુમલા બાદ ભારતે તેનો બદલો લેવા માટે સરહદ પાર આતંકવાદી તાલીમ કેમ્પોને નિશાન બનાવ્યા હતા. ભારતીય વાયુસેનાના ફાઈટર જેટ્સે બાલાકોટ પર સર્જિકલ એર સ્ટ્રાઈક કરી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પુલવામા હુમલાની ચોથી વરસી પર શહીદોને યાદ કર્યા છે. તેમણે કહ્યું કે, અમે આપણા વીર જવાનોને યાદ કરીએ છીએ જેને અમે આ દિવસે પુલવામા હુમલામા ગુમાવી દીધા હતા. અમે તેમના સર્વોચ્ચ બલિદાનને ક્યારેય ભૂલી ન શકીએ. તેમની હિંમત આપણને મજબૂત અને વિકસિત ભારત બનાવવાની પ્રેરણા આપે છે.

કોંગ્રેસના સત્તાવાર ટ્વીટર એકાઉન્ટ પર પણ પુલવામા હુમલામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે. કોંગ્રેસનું કહેવું છે કે, પુલવામાં આતંકવાદી હુમલામાં દેશ માટે પોતાના પ્રાણોની આહૂતિ આપનારા શહીદ થયેલા જવાનોને શત શત સલામ. આજે અમે ભારત માતાના બહાદુર સપૂતોને શ્રદ્ધાંજલિ અર્પિત કરીએ છીએ. 

રાહુલ ગાંધીએ આપી શ્રદ્ધાંજલિ

ભાજપના કાર્યકરો અને નેતાઓએ પણ શહીદોને શ્રદ્ધાંજલિ આપી છે. ભાજપના નેતા કપિલ મિશ્રાએ કહ્યું કે, ‘કભી ભૂલેંગે નહીં કભી માફ કરેંગે નહીં’. પુલવામા હુમલામાં શહીદ થયેલા આપણા બહાદુર જવાનોને લાખો સલામ. કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ પણ ભાવુક શ્રદ્ધાંજલિ આપી હતી. તેણે ટ્વીટ કરીને લખ્યું, ‘પુલવામા આતંકી હુમલાના બહાદુર શહીદોને શ્રદ્ધાંજલિ. ભારત તેમના સર્વોચ્ચ બલિદાનને હંમેશા યાદ કરશે.

Share: