તુર્કેઈ-સીરિયામાં ભૂકંપથી અત્યાર સુધીમાં 8 હજારથી વધુના મોત, મૃતદેહો શોધવાની પ્રક્રિયા ચાલુ

તુર્કેઈ-સીરિયામાં ભૂકંપથી અત્યાર સુધીમાં 8 હજારથી વધુના મોત, મૃતદેહો શોધવાની પ્રક્રિયા ચાલુ
Image : Twitter DD News

અમદાવાદ, 8 ફેબ્રુઆરી 2023, બુધવાર

તુર્કેઈ અને સીરિયામાં સોમવારે આવેલા શક્તિશાળી ભૂકંપના કારણે અત્યાર સુધીમાં 8 હજારથી વધુ લોકોના મોત થયા છે. તુર્કીમાં 5,894 લોકોએ જીવ ગુમાવ્યા છે, જ્યારે 34,810 લોકો ઘાયલ થયા છે. વિદ્રોહી-નિયંત્રિત સીરિયામાં 1,220 લોકોએ જીવ ગુમાવ્યો છે. જ્યારે સીરિયામાં સરકારના નિયંત્રણવાળા વિસ્તારોમાં 812 લોકોના મોત થયા છે. તુર્કીમાં આવેલા ભૂકંપથી લગભગ 6000 ઈમારતો ધ્વસ્ત થઈ ગઈ છે. જ્યારે સીરિયામાં 400 ઈમારતો સંપૂર્ણપણે ધરાશાયી થઈ ગઈ હતી, આ ઉપરાંત 1220થી વધુ ઈમારતોને નુકસાન થયું હતું.

તુર્કેઈમાં ઐતિહાસિક ઇમારતોનો ધરાશાયી

ભૂકંપમાં તુર્કેઈની ઐતિહાસિક મસ્જિદ પણ ધ્વસ્ત થઈ ગઈ હતી. તુર્કીના માલત્યા શહેરમાં સ્થિત આ ઐતિહાસિક યેની કામી મસ્જિદ ખંડેરમાં ફેરવાઈ ગઈ છે. આ મસ્જિદ 100 વર્ષથી વધુ જૂની હતી પરંતુ ભૂકંપના કારણે તે નષ્ટ થઈ ગઈ છે. તેની સાથે 100 વર્ષનો ઇતિહાસ જોડાયેલો હતો જે હવે કાટમાળમાં દટાયેલો છે.

Share: