તમામ રાજ્ય સરકારો ખેડૂતો સામેના કેસ પાછા ખેંચવા સંમતઃ સરકારે લેખિત ખાતરી આપતા ખેડૂત આંદોલનનો અંત

તમામ રાજ્ય સરકારો ખેડૂતો સામેના કેસ પાછા ખેંચવા સંમતઃ સરકારે લેખિત ખાતરી આપતા ખેડૂત આંદોલનનો અંત

નવી દિલ્હી,તા.9.ડિસેમ્બર,2021

ખેડૂતોએ સરકાર સામેના આંદોલનને સમાપ્ત કરવા માટે જાહેરાત કરી છે.

આ પહેલા સરકારે ખેડૂતોને પત્ર લખીને તેમની માંગણીઓ પૂરી કરવાની ખાતરી આપી હતી.પત્રમાં સરકારે કહ્યુ છે કે, એમએસપી પર સરકારે કમિટી બનાવવાનુ નક્કી કર્યુ છે અને તેમાં ખેડૂત આગેવાનો પણ સામેલ હશે.

ખેડૂતો પરના કેસો પાછા ખેંચવા માટે દરેક રાજ્ય સરકારે સંમતિ આપી હોવાનુ પત્રમાં સરકારે કહ્યુ છે અને સાથે સાથે ભારત સરકાર સાથે જોડાયેલી એજન્સીઓ અને દિલ્હી પોલીસ પણ ખેડૂતો સામેના કેસ પાછા ખેંચશે.સબંધિત રાજ્ય સરકારોએ મૃત્યુ પામેલા ખેડૂતોને વળતર આપવા માટે પણ સંમતિ આપી દીધી છે.

સરકારે પત્રમાં આગળ કહ્યુ હતુ કે, સંસદમાં રજૂ થનારા વીજ બિલમાં ખેડૂતો પર અસર કરે તેવી જોગવાઈઓ પર પહેલા ખેડૂતો સાથે અને બીજા સબંધિત પક્ષો સાથે ચર્ચા થશે અને એ પછી જ બિલ સંસદમાં રજૂ કરાશે.

સરકારે પત્રમાં એવુ પણ કહ્યુ છે કે, પરાળી સળગાવવાના મામલામાં ખેડૂતો સામે કોઈ પણ જાતની કાયદાકીય કાર્યવાહી કરવામાં નહીં આવે.આમ ખેડૂતોની જે પાંચ માંગણીઓ છે તેનુ સમાધાન કરવામાંઆવ્યુ છે ત્યારે હવે આ આંદોલન ચાલુ રાખવાનો કોઈ અર્થ નથી.સરકાર ખેડૂતોને અનુરોધ કરે છે કે, આંદોલન પુરુ કરવામાં આવે.

Share: