જ્ઞાનવાપી મસ્જિદ પરિસર સર્વેઃ કોર્ટનો નિર્ણય, કોર્ટ કમિશનરને હટાવાશે નહીં, સર્વે ચાલુ રહેશે

જ્ઞાનવાપી મસ્જિદ પરિસર સર્વેઃ કોર્ટનો નિર્ણય, કોર્ટ કમિશનરને હટાવાશે નહીં, સર્વે ચાલુ રહેશે


– અદાલતે કોર્ટ કમિશનર અજય મિશ્રા ઉપરાંત વિશાલ કુમાર સિંહ અને અજય સિંહને પણ કોર્ટ કમિશનર બનાવ્યા

– કોર્ટે 17મી મે પહેલા જ્ઞાનવાપી મસ્જિદના ભોંયરાનો સર્વે કરવા આદેશ આપ્યો

વારાણસી, તા. 12 મે 2022, ગુરૂવાર

વારાણસીમાં જ્ઞાનવાપી મસ્જિદ મામલે કોર્ટે મહત્વનો નિર્ણય સંભળાવ્યો છે. કોર્ટે સર્વે માટે નિયુક્ત કરવામાં આવેલા એડવોકેટ કમિશનર અજય કુમાર મિશ્રાને હટાવવાનો ઈનકાર કરી દીધો છે. આ સાથે જ કોર્ટે 17મી મે પહેલા જ્ઞાનવાપી મસ્જિદના ભોંયરાનો સર્વે કરવા આદેશ આપ્યો છે. કોર્ટે 17મી મેના રોજ સર્વેનો આગામી રિપોર્ટ આપવા માટે જણાવ્યું છે. 

અદાલતે કોર્ટ કમિશનર અજય મિશ્રા ઉપરાંત વિશાલ કુમાર સિંહ અને અજય સિંહને પણ કોર્ટ કમિશનર બનાવ્યા છે. તે બંને અથવા તો તે બંને પૈકી કોઈ એક આ સર્વે દરમિયાન ઉપસ્થિત રહેશે. 

ફરિયાદી પક્ષા વકીલે જણાવ્યું કે, કોર્ટે સમગ્ર મસ્જિદ પરિસરનો સર્વે કરાવવાનો આદેશ આપ્યો છે. તેમણે જણાવ્યું કે, ઉત્તર પ્રદેશ સરકાર અને પ્રશાસનને આદેશ આપવામાં આવ્યો છે કે, આ કાર્યવાહીને પૂર્ણ કરાવવામાં આવે. જે પણ વ્યક્તિ તેમાં અડચણરૂપ બનશે તેના સામે કાર્યવાહી કરવામાં આવશે. 

વારાણસી સ્થિત જ્ઞાનવાપી મસ્જિદની અંદર વીડિયોગ્રાફી-સર્વે કરાવવા મુદ્દે અને તે માટે નિયુક્ત કરવામાં આવેલા એડવોકેટ કમિશનર અજય મિશ્રાની બદલી મુદ્દે આજે સ્થાનિક કોર્ટમાં સુનાવણી યોજાઈ હતી. સુનાવણીના પગલે કોર્ટની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો હતો. સિવિલ જજની કોર્ટમાં 7મી મેથી ચાલી રહેલી દલીલો બુધવારે પૂર્ણ થઈ હતી અને નિર્ણયને સુરક્ષિત રાખીને કોર્ટે સુનાવણી માટે આજનો દિવસ નિર્ધારિત કર્યો હતો. આદેશને અનુલક્ષીને સમગ્ર કોર્ટ પરિસરને ખાલી કરી દેવાયું હતું અને માત્ર પક્ષકારો જ કોર્ટમાં ઉપસ્થિત હતા. 

કાશી વિશ્વનાથ ધામ-જ્ઞાનવાપી સ્થિત મા શ્રૃંગાર ગૌરી અને અન્ય દેવ વિગ્રહોના સર્વે મામલે છેલ્લા 3 દિવસથી ચાલી રહેલી તમામ પક્ષોની દલીલ બુધવારે પૂર્ણ થઈ હતી. કોર્ટે 2 કલાક સુધી ચાલેલી દલીલ સાંભળ્યા બાદ આદેશ માટે તા. 12મી મે નિર્ધારિત કરી હતી. 

વધુ વાંચોઃ કાશીની જ્ઞાનવાપી મસ્જિદની દિવાલ પર પ્રાચીન ઘંટ અને કમળ કોતરેલા જોવા મળ્યાનો દાવો

વિવાદમાં હિંદુ પક્ષે અલાહાબાદ હાઈકોર્ટમાં પોતાની દલીલમાં એડવોકેટ કમિશનર પોતાનું કામ પૂરી ઈમાનદારીથી કરી રહ્યા હોવાનું જણાવ્યું હતું. સાથે જ આ કેસમાં વિલંબ થાય તે માટે મુસ્લિમ પક્ષ વતી આવી અરજી દાખલ કરવામાં આવી છે અને એડવોકેટ કમિશનરને બદલવાની માગણી કરવામાં આવી છે તેવો દાવો કરવામાં આવ્યો હતો. 

વાદી પક્ષે બેરિકેડિંગની અંદર ભોંયરા સહિતના અન્ય ઉલ્લેખિત સ્થળોના નિરીક્ષણ માટે સ્પષ્ટ આદેશ કરવાની માગણી કરી છે. 

જ્યારે પ્રતિવાદી અંજુમન ઈંતજામિયા મસાજિદ તરફથી એડવોકેટ કમિશનર પર નિષ્પક્ષ ન હોવાનો આરોપ લગાવીને તેમની બદલી કરવાની માગણી કરવામાં આવી હતી. 

વધુ વાંચોઃ ‘આ મુસ્લિમ વિરોધી હિંસાનો રસ્તો ખોલનારો નિર્ણય’, જ્ઞાનવાપી મસ્જિદના સર્વેક્ષણ મુદ્દે ઓવૈસીનું નિવેદન

ગર્ભગૃહમાં પ્રવેશ

ફરિયાદી પક્ષના વકીલે કોર્ટને વિનંતી કરી હતી કે, જેમના પાસે ચાવી છે તેઓ જ્ઞાનવાપી મસ્જિદનું ભોંયરૂ ખોલાવે અથવા તાળું તોડે. આ સાથે જ મસ્જિદની અંદર કોર્ટ કમિશનને સર્વેક્ષણ માટે પ્રવેશની મંજૂરી મળવી જોઈએ તેવી માગણી પણ કરવામાં આવી હતી. 

આ મામલે વિપક્ષી વકીલે એવી દલીલ કરી હતી કે, મસ્જિદ પરિસરની અંદર પ્રવેશ મેળવવો તે પૂજા સ્થળ અધિનિયમ 1991નું ઉલ્લંઘન છે. આ કારણે મસ્જિદની અંદર પ્રવેશ ન કરી શકાય. 

ફરિયાદી પક્ષના વકીલના કહેવા પ્રમાણે કોર્ટે દેવી-દેવતાઓની સ્થિતિ જાણવા કહ્યું છે અને વિરોધીઓ કારણ વગરના તર્ક વચ્ચે લાવી રહ્યા છે. 

વધુ વાંચોઃ જ્ઞાનવાપી મસ્જિદમાંથી સ્વસ્તિક સહિત મંદિરના ચિહ્નો દૂર કરાયાનો દાવો

Share: